Oct 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-946

 

દુર્યોધને કહ્યું-હે પિતામહ,દ્રોણ,તમે,શલ્ય,કૃપ,અશ્વત્થામા,કૃતવર્મા,શલ્ય,સુદક્ષિણ,ભૂરિશ્રવા,વિકર્ણ,ભગદત્ત આદિ મહારથી તરીકે પ્રસિદ્ધ છો.તમે બધા ત્રણે લોકને પણ પુરા પડી શકો તેમ છો,છતાં પાંડવોની સામે પરાક્રમ કરવામાં કેમ ટકી શકતા નથી?આ બાબતમાં મને મોટી શંકા ઉત્પન્ન થઇ છે.પાંડવોમાં એવું શું રહેલું છે?કે તેઓ ક્ષણેક્ષણે જીતી જાય છે?'

Oct 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-945

 

અધ્યાય-૬૫-વિશ્વોપાખ્યાન 


॥ धृतराष्ट्र उवाच ॥ भयं मे अहमहजातं तस्मयश्चैव संजय I श्रुत्वा पांडुरमाणां कर्म दैवेः सुदुष्कर ॥१॥ 

ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,દેવોએ પણ કરવાને અશક્ય,એવું પાંડવોનું કર્મ સાંભળીને મને ઘણો જ ભય ને વિસ્મય થયું છે અને મારા પુત્રોનો પરાજય સાંભળીને 'હવે શું થશે?'તેની મને ચિંતા થયા કરે છે.અવશ્ય વિદુરનાં વાક્યો મારા હૃદયને બાળી નાખશે કારણકે દૈવયોગે બધું તેવું જ દેખાય છે.જ્યાં ભીષ્મ વગેરે શસ્ત્ર જાણનારા ઉત્તમ યોદ્ધાઓ છે,ત્યાં પણ પાંડવોના સૈન્યના યોદ્ધાઓ યુદ્ધમાં સંહાર કરી જાય છે.હે તાત,ક્યા કારણથી મહાબલિષ્ઠ પાંડવોનો નાશ થતો નથી?શું તેઓને કોઈએ વરદાન આપેલું છે?કે તેઓ કોઈ વિદ્યા જાણે છે? વારંવાર પાંડવો મારા સૈન્યને મારી નાખે છે તે મારાથી સહન થતું નથી ખરેખર,દૈવનો જ દારુણ દંડ મારા પર આવી પડ્યો છે.મારા પુત્રો માર્યા જાય છે તેનું ખરું કારણ મારી આગળ તમે કહી સંભળાવો.

મારા સર્વ પુત્રોનો ભીમ સંહાર કરી નાખશે એમાં મને લેશ પણ સંશય નથી.આ યુદ્ધમાં હું કોઈ એવો યોદ્ધો જોતો નથી કે જે મારા પુત્રોને બચાવે.હવે,મારુ સૈન્ય પાછું વળ્યું,પછી મારા પુત્રોએ શો નિશ્ચય કર્યો? તે કહી સંભળાવો.

Oct 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-944

 

પછી,ભીષ્મે સર્વ મહારથીઓને કહ્યું કે-'આ ભીમ,કૌરવોને અને મુખ્ય આગેવાનોને મારી નાખે છે માટે તેને પકડો'

ભીષ્મનાં વચનથી દુર્યોધનના સર્વ સૈનિકોએ ભીમ સામે ધસારો કર્યો.ભગદત્ત રાજા,પોતાના પ્રાગજ્યોતિષ નામના હાથી પર બેસી ધસી આવીને ભીમને બાણોથી આચ્છાદિત કરીને,તેને છાતી પર વીંધ્યો,કે જેથી ભીમ ફરીથી મૂર્છાવશ થયો.

પિતા ભીમને એવી દશામાં જોઈને,પુત્ર ઘટોત્કચ ત્યાં આવી પહોંચ્યો ને તેને દારુણ એવી માયા રચી.નિમેષકાળમાં તો તે ઐરાવણ હાથી પર દેખાયો અને તેની પાછળ દિગ્ગજ રાક્ષસો પણ હાથી પર દેખાયા.હાથીઓ ચારે દિશામાં સજ્જ થઈને ધસી આવ્યા અને ભગદત્તના હાથીને દંતશૂળોથી પીડવા લાગ્યા.ભગદત્તનો હાથી મોટી ચીસો પાડવા લાગ્યો.

Oct 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-943

 

અધ્યાય-૬૪-ચોથા દિવસની સમાપ્તિ-ભીમનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ ततो भूरिश्रवा राजन सात्यकी नवभि शरैः I प्राविध्यद्भृश संकृद्वस्तोत्रैरिवमहाद्विपः ॥१॥ 

સંજયે કહ્યું-પછી,અતિક્રોધાયમાન થયેલા ભૂરિશ્રવાએ,સાત્યકિને નવ બાણોનો પ્રહાર કરીને વીંધ્યો.ત્યારે સામે સાત્યકિએ પણ,ભૂરિશ્રવાને સર્વ લોકના દેખતાં,બાણોનો પ્રહાર કરીને તેને નિવાર્યો.પછી,દુર્યોધન પોતાના ભાઈઓને લઈને ભૂરિશ્રવાનું રક્ષણ કરવા આવી પહોંચ્યો,તો સામે પાંડવો પણ સાત્યકિનું રક્ષણ કરવા આવી પહોંચ્યા ને તેને વીંટળાઈને ઉભા રહ્યા.એ વેળા,ભીમસેન પણ પોતાની ગદા લઈને આવી પહોંચ્યો ને તમારા સર્વ પુત્રોને ઘેરી વળ્યો.તમારો પુત્ર નંદક,હજારો રથો લઈને આવ્યો અને તેણે ભીમસેનની છાતી પર નવ બાણોથી પ્રહાર કર્યો.એટલે ભીમસેન પોતાના શ્રેષ્ઠ રથ પર ચડી ગયો અને વિશોક નામના પોતાના સારથિને કહેવા લાગ્યો કે-

Oct 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-942

 

અધ્યાય-૬૩-ભીમનું ઘોર કર્મ-સાત્યકિ ને ભૂરિશ્રવાનો સમાગમ 


॥ संजय उवाच ॥ हते तस्मिन्गजानीके पुत्रो दुर्योधनस्तव I भीमसेनं घ्नतेत्येवं सर्वसैन्यान्यचोदयत ॥१॥ 

સંજયે કહ્યું-એ પ્રમાણે પોતાના હાથી સૈન્યનો નાશ થયો ત્યારે તમારા પુત્ર દુર્યોધને 'ભીમસેનને મારો' એમ સર્વ સૈન્યને આજ્ઞા આપી.તેની આજ્ઞા થવાથી સર્વ સૈન્યે ભયંકર શબ્દની ગર્જનાથી ભીમસેન સામે ધસારો કર્યો.અપાર સૈન્યને સામું આવતું જોઈને.ભીમસેને તેને રોકી રાખ્યું.તે વખતે ભીમસેનનું અતિ અદભુત કર્મ અમારા જોવામાં આવ્યું.જરાયે ગભરાયા વિના,ભીમસેને,અશ્વો,રથો અને હાથીઓ સહીત સર્વ રાજાઓને પોતાની ગદાથી આગળ વધતા અટકાવી દીધા.ને પોતે મેરુ પર્વતની જેમ સ્થિર થઈને ત્યાં ઉભો રહ્યો.તે વખતે,તેના પુત્રોએ,ભાઈઓએ,અભિમન્યુએ,શિખંડીએ અને ધૃષ્ટદ્યુમ્ને તેને જરા પણ વેગળો કર્યો ન હોતો.માત્ર લોઢાની બનાવેલ વિશાળ ગદા વડે ભીમે સૈન્યનો કચ્ચરઘાણ વાળવા માંડ્યો.

Oct 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-941

 

અધ્યાય-૬૨-ભીમનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ दैवमेय परं मन्ये पौरुषादपि संजय I यत्सैन्यं मम पुत्रस्य पांडुसैन्येन बाध्यते ॥१॥ 

ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,પુરુષાર્થ કરતાં દૈવ જ બળવાન છે,એમ મારે કહેવું પડે છે.કારણકે મારા પુત્રના સૈન્યને પાંડવોનું સૈન્ય જીતી જાય છે.તું પણ,'મારા પુત્રો જ હંમેશાં માર ખાય છે અને પાંડવો હર્ષિત થાય છે'તેમ કહ્યા કરે છે.યથાશક્તિ લડતા અને જય મેળવવા માટે મથતા મારા પુત્રોનો,તું હંમેશા પરાજય જ કહે છે ને પાંડવોના જયનું વર્ણન કરે છે.મને એવો એકપણ ઉપાય દેખાતો નથી કે જેથી પાંડવોનો પરાજય થાય અને મારા પુત્રોનો વિજય થાય.