અધ્યાય-૮૧-અર્જુનને પુનઃ પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ
II संजय उवाच II ततः प्रार्थः प्रसन्नात्मा प्रांजलिर्वुषभध्वजम् I ददर्शोत्फ़ुलनयनः समस्तं तेजसा निधिम् II १ II
સંજય બોલ્યો-તે પછી,પ્રસન્ન ચિત્તવાળો અર્જુન હાથ જોડીને પ્રફુલ્લિત નેત્રે સમગ્ર તેજના ભંડાર એવા વૃષભધ્વજ શંકરનાં દર્શન કરવા લાગ્યો.નિત્ય નિયમ પ્રમાણે તેણે જે બલિ રાત્રિએ,વાસુદેવને અર્પણ કર્યો હતો તે બલિ તેણે ત્યાં મહાદેવની પાસે રહેલો જોયો.પછી,અર્જુને મનથી શ્રીકૃષ્ણ અને શ્રીશંકરનું પૂજન કર્યું અને 'હું દિવ્ય અસ્ત્રની ઈચ્છા રાખું છું' એમ શંકરને કહ્યું.
શ્રીશંકર બોલ્યા-તમે જે ઈચ્છાથી અહીં આવ્યા છો તે હું તમને આપું છું.અહીં પાસે એક દિવ્ય સરોવર છે તેમે મેં મારાં દિવ્ય ધનુષ્યબાણ મૂક્યાં છે કે જેનાથી મેં અસુરોનો સંહાર કર્યો હતો,તમે ત્યાંથી તે લઇ આવો.



