Mar 24, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1084

 

અધ્યાય-૮૬-ધૃતરાષ્ટ્ર પ્રત્યે સંજયનાં વચનો 


 II संजय उवाच II हंत ते संप्रवक्ष्यामि सर्व प्रत्यक्षदर्शिवान् I शुश्रुश्वस्व स्थिरो भूत्वा तव ह्यपनयो महान् II १ II

સંજય બોલ્યો-મેં બધું પ્રત્યક્ષ જોયું છે માટે હું તમને કહું છું તે તમે સ્થિર થઈને સાંભળો.ખરું જોતાં તો પાંડવોના સંબંધમાં તમે જ મોટી અનીતિ કરી છે.આ તમારો વિલાપ પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવો છે.તમે શોક ન કરો.કાળે નિર્માણ કરેલી અદભુત યોજના ઓળંગી શકાય તેમ નથી,આ પ્રમાણેનું ભાવિ પ્રથમથી જ નિર્માણ થયેલું હોવું જોઈએ.જો તમે પહેલેથી જ તમારા પુત્રોને જુગાર રમતાં અટકાવ્યા હોત તો આ સંકટ આવત જ નહિ.તમે એક પિતાને છાજે તેવું કર્તવ્ય કરીને તમારા પુત્રને સન્માર્ગે દોર્યો હોત અને ધર્મપૂર્વક વર્ત્યા હોત તો આ સંકટ ન જ આવત.

Mar 23, 2026

ભાગવત રહસ્ય-૧૦૧-Bhgavat Rahasya-101

હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.દીકરો,મા ને ઉપદેશ આપે છે.ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે.તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા નો પ્રારંભ 
અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે.
ત્રણ અધ્યાયમાં પહેલાં વેદાંતનું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિનું વર્ણન કર્યું છે.
તે પછી સંસારચક્રનું વર્ણન આવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1083

 

અધ્યાય-૮૫-ધૃતરાષ્ટ્રના ઉદ્દગારો 


II धृतराष्ट्र उवाच II श्वोभूते किमकार्पुस्ते दुखःशोक समन्विताः I अभिमन्यौ हते तत्र के वायुद्वयंत मामकाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,અભિમન્યુનો વધ થયા પછી,બીજે દિવસે શોકથી યુક્ત થયેલા પાંડવોએ શું કર્યું? મારા પક્ષના કયા કયા યોદ્ધાઓ તેમની સામે લડ્યા?અર્જુનનાં પરાક્રમો પ્રથમથી જ જાણનારા કૌરવો તેનો અપરાધ કરીને કેમ નિર્ભય રહ્યા હતા? ક્રોધાયમાન કાળ સરખા એ અર્જુનને યુદ્ધ કરવા આવતો જોઈને મારા પુત્રોએ શું કર્યું? આજના સંગ્રામમાં દુર્યોધન સંબંધમાં શું નવીન બન્યું છે? આજે જ્યાં ત્યાં વિલાપના શબ્દો કાને પડે છે.ભાટચારણો,સ્તુતિપાઠકોના શબ્દો મારે કાને અથડાતા નથી.સર્વે યોદ્ધાઓની છાવણીઓ આજે શાંત કેમ લાગે છે?

Mar 22, 2026

ભાગવત રહસ્ય-૧૦૦-Bhgavat Rahasya-100

નવ કન્યાઓના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.
કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1082

 

અધ્યાય-૮૩-શ્રીકૃષ્ણને પ્રાર્થના 


 II संजय उवाच II ततो युधिष्ठिरो राजा प्रतिनंद्य जनार्दनम् I उवाच परमप्रीतः कौन्तेयो देवकीसुतं II १ II

સંજય બોલ્યો-તે પછી પરમ પ્રસન્ન થયેલા કુંતાપુત્ર રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પ્રસન્ન કરીને કહ્યું કે-'હે મધુસુદન આપે 

રાત્રિ  સુખેથી વિતાવી છે ને?' શ્રીકૃષ્ણે તેનો યોગ્ય પ્રત્યુત્તર આપી સામેથી પોતે પણ તેવો જ પ્રશ્ન કર્યો.તેવામાં દ્વારપાળે 

આવીને કહ્યું કે -'સર્વ પ્રધાનમંડળ તથા રાજવર્ગ આપને મળવા આવ્યા છે' પછી,યુધિષ્ઠિરની આજ્ઞા થતા દ્વારપાળે,

વિરાટ,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ,ચેદિરાજ,ધૃષ્ટકેતુ,દ્રુપદ,શિખંડી,નકુલ,સહદેવ,ચેકિતાન,કેકયકુમારો,યુયુત્સુ,ઉત્તમૌજા,

યુધામન્યુ,સુબાહુ ને દ્રૌપદીના પુત્રો એ સૌને અંદર પ્રવેશ કરાવ્યા.તે સૌ આવી આસને બેઠા.


તે સમયે,યુધિષ્ઠિરે શ્રીમધુસુદનને સંબોધીને કહ્યું-'હે શ્રીકૃષ્ણ,દેવો જેમ ઇન્દ્રનો આશ્રય કરીને યુદ્ધમાં વિજયની આશા રાખે છે,તેમ અમે તમારો આશ્રય કરીને યુદ્ધમાં વિજય મેળવવાની અનેચિરકાળ ટકે તેવા સુખોની આશા રાખીએ છીએ.અમારા બધાના સુખનો તથા જીવનનો મૂળ આધાર તમારા પર જ રહેલો છે માટે હે માધવ,તમે અમારા પર ઈ કોઈ કૃપા કરો કે મારુ મન સદા તમારામાં જ સ્થિર રહે અને આજે અર્જુને લીધેલી પ્રતિજ્ઞા સત્ય થાય.જેમ તમે આપત્તિઓમાં યાદવોનું રક્ષણ કરો છો તેમ અમારું આ સંકટમાંથી રક્ષણ કરો.આ સમયે પાંડવો.કૌરવોરૂપી અગાધ સમુદ્રમાં ડૂબી રહ્યાં છે તો તમે વહાણરૂપ થઈને અમને આ સમુદ્રમાંથી તારો.હું તમને નમસ્કાર કરું છું.'


ત્યારે શ્રીકૃષ્ણે,યુધિષ્ઠિરને કહ્યું કે-'દેવો સહિત આ સર્વ લોકોમાં અર્જુન જેવો કોઈ ધનુર્ધર નથી.મહાબળવાન ને શ્રેષ્ઠ ગતિવાળો અર્જુન શત્રુઓનો સંહાર કરશે છતાં હું એવું કરીશ કે જેથી તે દુર્યોધનનાં સૈન્યોને બાળી નાખશે.આજે પાપકર્મ કરનારા તથા અભિમન્યુનો ઘાત કરાવનારા તે ક્ષુદ્ર જયદ્રથને અર્જુન પોતાનાં બાણો વડે એવા માર્ગમાં ફેંકી દેશે કે જ્યાં ગયા પછી તેનું પુનઃદર્શન થવું અશક્ય થશે.અર્જુન આજે એ સિંધુરાજનો વધ કરીને જ તમારી પાસે પાછો આવશે,માટે તમે શોક કરો નહિ.હું તમને આશીર્વાદ આપું છું કે તમે સમૃદ્ધિથી પૂજાતા થશે (28)

અધ્યાય-83-સમાપ્ત 


અધ્યાય-૮૪-અર્જુનની યુદ્ધ માટે તૈયારી 

 II संजय उवाच II तथा तु वदतां तेषां प्रादुरासिध्धनंजयः I दिदक्षुर्भरतश्रेष्ठं राजानं ससुह्रुद्गणम् II १ II

સંજય બોલ્યો-તેઓ બધા આ પ્રમાણે વાતચીત કરી રહ્યા હતા,એટલામાં અર્જુન,યુધિષ્ઠિરનાં દર્શન કરવા ત્યાં આવી 

પહોંચ્યો.ને આવીને તેણે વંદન કર્યા,ત્યારે યુધિષ્ઠિર તેને ઉભા થઈને ભેટી પડ્યા અને ઉત્તમ આશિષો આપીને 

કહેવા લાગ્યા કે-'હે અર્જુન,આજે તારા મુખની કાંતિ નિહાળીને તથા શ્રીકૃષ્ણની પ્રસન્નતા જોઈને જણાય છે કે 

આજના યુદ્ધમાં તારો અવશ્ય વિજય થશે.'


અર્જુન બોલ્યો-'હે રાજા તમારું કલ્યાણ હો.આજે રાત્રિમાં આવેલા એક સ્વપ્નમાં શ્રીકેશવના પ્રસાદથી મેં એક ઉત્તમ આશ્ચર્ય જોયું છે' એમ કહી તેણે 'શ્રીમહેશ્વર સાથે સમાગમ' આદિ વૃતાંત કહી સંભળાવ્યું.ત્યારે બધા એકસાથે બોલી ઉઠયા કે-'આ બહુ સારું થયું'તે પછી,યુધિષ્ઠિરે સર્વ સુહૃદોને યુદ્ધ માટે સજ્જ થવાની આજ્ઞા આપી એટલે તુરત જ બધા તૈયાર થઈને હર્ષભેર યુદ્ધ કરવા નીકળી પડ્યા.સાત્યકિ અને શ્રીકૃષ્ણ એક જ રથમાં બેસીને અર્જુનના તંબુ પર ગયા ને ત્યાં જઈને શ્રીકૃષ્ણે એક સારથિની જેમ અર્જુનના વાનરધ્વજ વાળા રથને તૈયાર કર્યો.


અર્જુને મુકુટ,કવચ,ધનુષ્ય ને બાણ ધારણ કરીને ત્યાં આવી રથની પ્રદિક્ષણા કરી,રથ પર ચડ્યો.ત્યારે બ્રાહ્મણો,વિજયસૂચક આશીર્વાદો આપીને તેની  સ્તુતિ કરતા હતા.જેવો અર્જુન રથ પર ચડ્યો કે તરત જ શ્રીકૃષ્ણ અને સાત્યકિ તે રથમાં ચડ્યા.

શ્રીકૃષ્ણ અને સાત્યકિ સાથે પોતાના ઉત્તમ રથમાં બેઠેલો તે અર્જુન બુધ અને શુક્ર સાથે અંધકારનાશન ચંદ્રની જેમ શોભતો હતો.રથે જયદ્રથનો વધ કરવા પ્રયાણ કર્યું ત્યારે પવિત્ર ગંધને લાવતો વાયુ વાવા લાગ્યો ને અર્જુનનો વિજય સુચવનારાં અનેક પ્રકારનાં શુભ શકુનો પ્રગટ થઇ રહ્યાં હતાં.તે  શકુનો જોઈને અર્જુને સાત્યકિને કહ્યું કે-'આજે યુદ્ધમાં મારો અવશ્ય વિજય થશે એમ મને દેખાય છે,કારણ કે પ્રથમથી જ શુભ ચિહ્નો આપણા જોવામાં આવે છે.જેમ,જયદ્રથ વધ એ આજે મારું મહાન કાર્ય છે તેમ ધર્મરાજનું રક્ષણ કરવું એ તમારું મહાન કાર્ય છે માટે તમે તેમનું રક્ષણ કરજો.યુદ્ધમાં તમે શ્રીકૃષ્ણ સમાન છો ને તમારો પરાજય કરે તેવો કોઈ હું જોતો નથી.તમને આ કાર્ય સોંપ્યા પછી જ તદ્દન નિશ્ચિન્ત થઈને હું સિંધુરાજનો વધ કરવા શક્તિમાન થઈશ.તમારે મારી ચિંતા કરવી નહિ,કારણકે જ્યાં શ્રીકૃષ્ણ રહેલા છે ત્યાં કોઈ જાતનું સંકટ નથી.માટે તમારે યુધિષ્ઠિરનું રક્ષણ કરવા જ તત્પર રહેવું'અર્જુને આમ કહ્યું ત્યારે 'બહુ સારું' કહીને સાત્યકિ જે સ્થળે યુધિષ્ઠિર હતા ત્યાં ચાલ્યો ગયો.(35)

અધ્યાય-84-સમાપ્ત 

પ્રતિજ્ઞા પર્વ સમાપ્ત

Mar 21, 2026

ભાગવત રહસ્ય-૯૯-Bhgavat Rahasya-99

અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.તે ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ? એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-દેવી તમે કોણ છો ? પત્નીએ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.