અધ્યાય-૧૧૩-સાત્યકિને કૃતવર્માનો ભેટો
II संजय उवाच II प्रयातै तव सैन्यै तु युयुधानै युयुत्सया I धर्मराजो महाराज सेनानीकेन संवृतः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,યુદ્ધ કરવાની ઈચ્છાથી સાત્યકિ જયારે તમારા સૈન્ય સામે પ્રયાણ કરી ગયો,ત્યારે સાત્યકિની પાછળ પડેલા દ્રોણાચાર્યના રથને પહોંચી વાળવા ધર્મરાજ પોતાના સૈન્યથી વીંટાઇને ચાલી નીકળ્યા હતા.તે વેળા,ધૃષ્ટદ્યુમ્ન તથા રાજા વસુદાન પાંડવોના સૈન્યમાં મોટો ઘાંટો પાડીને કહેવા લાગ્યા કે-'હે વીર યોદ્ધાઓ,જલ્દી દોડી આવો અને શત્રુઓ પર પ્રહાર કરો,કે જેથી સાત્યકિ સુખેથી શત્રુસેનામાં દાખલ થઇ જાય.'તે સમયે સાત્યકિના રથ સામે મહાન શબ્દ થઇ રહ્યો હતો,પણ સાત્યકિએ શત્રુસેનાને સેંકડો સ્થળેથી તોડી નાખી એટલે તે વિખરાઈ જઈને આમતેમ દોડવા લાગી હતી.





