અધ્યાય-૧૪૨-અર્જુને કરેલો ભૂરિશ્રવાનો બાહુચ્છેદ
II संजय उवाच II तमापततं संप्रेक्ष्य सात्त्वतं युद्धदुर्मदम् I क्रोधाद्भूरिश्रवा राजन सहसा समुपाद्रवत II १ II
સંજય બોલ્યો-હે રાજન,તે પછી,યુદ્ધ દુર્મદ સાત્યકિને ધસી આવતો જોઈ,ભૂરિશ્રવા ક્રોધપૂર્વક તેની સામે ધસી ગયો ને તેને કહેવા લાગ્યો કે-'આજે તું મારી નજરે આવી ચડ્યો છે તે બહુ સારું થયું.આજના રણમાં હું લાંબા વખતથી ઈચ્છેલા મારા અભિલાષને પૂર્ણ કરીશ.આજે તું જો રણસંગ્રામનો ત્યાગ નહિ કરે તો મારી પાસેથી છૂટવાનો નથી.'ત્યારે સાત્યકિએ સામે કહ્યું કે-'આ રણમાં મને કોઈ વાણીના બકવાદથી ડરાવી શકે તેમ નથી,જે મને હથિયાર વિનાનો કરે તે જ મને મારી શકે તેમ છે.આજે હું તને માર્યા વિના રણમાંથી નિવૃત્ત થઈશ નહિ.તું આજે આ લોકમાં ઘણા સમયથી ઈચ્છેલા યુદ્ધને થવા દે.'





