અધ્યાય-૧૫૭-સોમદત્ત,બાહલીક,નાગદત્ત આદિ કુરુઓનો વધ
II संजय उवाच II द्रुपदस्यात्मजान द्रष्ट्वा कुन्तिभोजसुतांस्तथा I द्रोणपुत्रेण निहतान राक्षसांश्च सहस्त्रशः II १ II
સંજય બોલ્યો-અશ્વત્થામાએ આ પ્રમાણે દ્રુપદરાજાના ને કુંતીભોજના પુત્રોને તથા હજારો રાક્ષસોને મારી નાખ્યા તે જોઈને યુધિષ્ઠિર,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ આદિ યોદ્ધાઓ સાવધાન થઈને યુદ્ધ કરવા માટે જ મનમાં નિશ્ચયવાળા થયા.હે ભારત,તે વખતે તમારા અને શત્રુયોદ્ધાઓનું ભયંકર યુદ્ધ થઇ રહ્યું.સાત્યકિને જોઈને સોમદત્ત ફરીથી તેની સામે ધસી આવ્યો.તેને આવતો જોઈને ભીમસેન સાત્યકીની મદદે આવ્યો ને સોમદત્તને વીંધવા લાગ્યો હતો.પુત્રોના દુઃખથી પીડાયેલા એ વૃદ્ધ સોમદત્તને સાત્યકિએ દશ તીક્ષ્ણ બાણો વડે વીંધી નાખી,એક શક્તિના પ્રહારથી તેને ઘાયલ કરી નાખ્યો.બીજી તરફથી ભીમસેને એ સોમદત્તના મસ્તક પર ઘોર એવું પરિઘ માર્યું,તે જ વખતે સાત્યકિએ પણ એક મોટું તીક્ષ્ણ બાણ સોમદત્તની છાતીમાં માર્યું.આ બંને પ્રહારોથી સોમદત્ત ધરણી પર ઢળી પડ્યો.


