અધ્યાય-૧૮૦-પાંડવો શોકમાં ત્યારે શ્રીકૃષ્ણ આનંદમાં
II संजय उवाच II हैडिंबिं निहतं द्रष्ट्वा विशीर्णमिवपर्वतम् I वभुवुः पांडवा: सर्वे शोकवाष्वाकुलेक्षणाः II १ II
સંજય બોલ્યો-તૂટી પડેલા પર્વત જેવા વિશાળ શરીરવાળા તે હિડિમ્બાનંદનને જોઈને સર્વ પાંડવો શોકાશ્રુથી આકુળ નેત્રોવાળા થઇ ગયા.પણ તે જ સમયે શ્રીકૃષ્ણ તો મોટા હર્ષથી છલકાઈ જવા લાગ્યા ને સિંહનાદ કરીને અર્જુનને ભેટી પડ્યા.ને અર્જુનને થાબડીને રથની બેસણી પર રહીને પુનઃ ગર્જના કરવા લાગ્યા.ત્યારે અર્જુન મનમાં ઉદાસ થઈને તેમને કહેવા લાગ્યો કે-'હે મધુસૂદન,ઘટોત્કચના મરણથી આપણે શોક પામ્યા છીએ તે વખતે તમે અતિ હર્ષ કરો તે અસ્થાને લાગે છે.આમાં કોઈ નાનુંસૂનું કારણ નહિ જ હોય,તમે જે સત્ય હોય તે કહો.જો વાત છાની રાખવા જેવી ન હોય તો તે મને કહેવી ઘટે છે'




