અધ્યાય-૮૯-ભીમ,નકુલ અને સહદેવનું પરાક્રમ
॥ धृतराष्ट्र उवाच ॥ द्रष्ट्वा मे निहतान्त्पुत्रान् बहुनेकेन संजय I भीष्मो द्रोणः कृपश्चैव किमकुर्वत संयुगे ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા ઘણા પુત્રોને એકલા ભીમસેને મારી નાખેલા જોઈને,ભીષ્મ,દ્રોણ અને કૃપે યુદ્ધમાં શું કર્યું? મારા પુત્રોનો ક્ષય થયા કરે છે તેથી મારે માનવું પડે છે કે તેઓ સર્વથા દુષ્ટ દૈવની ઈચ્છાથી જ માર્યા જાય છે.ભીષ્મ,દ્રોણઆદિ રણમાંથી પાછા ન હટે તેવા અનેક યોદ્ધાઓના મધ્યમાં રહેલા મારા પુત્રો જયારે સંગ્રામમાં માર્યા જાય છે એમાં ભાગ્ય સિવાય બીજું શું સમજવું? મંદબુદ્ધિ દુર્યોધને,મોહથી અમારું કહેવું માન્યું જ નહિ,તેથી જ આજે આ ફળ આવેલું છે.





