May 1, 2016

Dekh-Kabira-Roya-Osho Hindi PDF Book

This book is for Archive and online reading only-not downloadable


Apr 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-495

(૭૩) અહંકાર નષ્ટ થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે
વસિષ્ઠ કહે છે કે-હવે એક બીજો વિચાર કહું છું-કે જે-વિચાર-રૂપી દૃષ્ટિથી તમે આત્માને અવિચળ દેખશો,અને,દિવ્ય-દૃષ્ટિ-વાળા થશો. "હું" કે જે આત્મા છું,તે જ બ્રહ્માંડોમાં સર્વ સ્થળે રહ્યો છું,હું આ તુચ્છ-દેહ-રૂપ નથી,અને દેહાદિ માત્રથી જુદાં પણ નથી,હું કે જે સર્વ-સ્વ-રૂપે એક જ છું,તેમાં મારો પોતાનો જ ભેદ બતાવનાર "દ્વૈત" જ કેમ હોય? " એવી રીતનો નિશ્ચય રાખીને પોતાનામાં રહેલા,આ સઘળા જગતને પોતા-રૂપ જુઓ.અને આમ જોવાથી તમે હર્ષ-શોક ને પરવશ થઈને-તેઓથી પરાભવ પામશો નહિ.

Apr 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-494

આ રીતે જગત-કોઈ પણ પ્રકારે હર્ષને કે શોકને યોગ્ય ઠરતું જ નથી,તે છતાં,તેના સંબંધમાં તમે શા માટે મૂંઝાઓ છો? હે રામ, તમે નકામા વિચારોને તાજી દઈને યથાર્થ વિચાર કરો.
યથાર્થ વિચાર કરનારો પ્રૌઢ મનુષ્ય કોઈ પણ પદાર્થમાં મોહ પામે જ નહિ.
ઇન્દ્રિયોનો-અને-વિષયોનો સંબંધ થતા,જે સુખ અનુભવમાં આવે છે,તે સુખને-
ઇન્દ્રિયો અને વિષયો-રૂપી ઉપાધિઓના ત્યાગ કરીને વિચારીએ-તો-તે સુખ કેવળ "અનુભવ-રૂપ" જ અવશેષ રહે છે,અને જે "અનુભવ" છે તે-સર્વથી-સાર-ભૂત-પરબ્રહ્મ જ છે.એમ કહેવાય છે.

Apr 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-493

"સ્ત્રી"-એવું નામ ધરાવતા પંચભૂત ના સમુદાયમાં.અવયવો ની કોમળતા-તથા સુંદરતા આદિ-જે વિચિત્રતા છે-તે તો અજ્ઞાની ને જ સંતોષ આપે તેવી છે-જ્ઞાનીઓ ને નહિ.
જેમ,એક પથ્થરમાંથી થયેલાં બે પૂતળા પરપરની સામે મળ્યાં હોય તો-પણ
તેમાં કોઈને કોઈનું સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી.અને પરસ્પર મમતા-આદિથી રહિત રહે છે,તેમ તમે બુદ્ધિ-ઇંદ્રિયો અને મન ના સમાગમમાં મમતા આદિથી રહિત જ રહો.

Apr 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-492

હે રામ,આ રીતે જે જીવ (આત્માના પ્રતિબિંબથી શોભી રહેલ અજ્ઞાન) કે ચિત્ત છે,તે જ સંસારનું કારણ છે.દેહ -કે  જે મૂંગો છે અને અત્યંત તુચ્છ છે-તેણે એમાં શું કર્યું? (કશું કર્યું નથી)
દેહ પણ સંસારી નથી અને આત્મા પણ સંસારી નથી,પણ વચમાં લટકતો જે "જીવ" છે તે સંસારી છે.જેમ,જેમ,ઘડો અને તે ઘડામાં ભરેલું જળ-એમાંથી એકનો નાશ થતા બીજાનો નાશ થતો નથી,તેમ,શરીર નો નાશ થતાં શરીરમાં રહેલા "જીવ" (આત્માના પ્રતિબિંબથી શોભી રહેલ અજ્ઞાન) નો નાશ થતો નથી.

Apr 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-491

હે રામ,આમ,આત્મા નાં પ્રતિબિંબો,ચિત્તમાં પડવાથી-ચિત્ત જ સઘળા સંસારની ઉત્પત્તિ નું કારણ છે.
અને અજ્ઞાન-અવિચાર કે મૂર્ખતા- એ ચિત્તનું કારણ છે.એટલે અજ્ઞાન-કે અવિચારને સંસારની ઉત્પત્તિ નું કારણ કહી શકાય છે.યથાર્થ વિચાર નહિ કરવા-રૂપી-અજ્ઞાન થી જ ચિત્તને પોતાના સઘળા ભ્રમોના બીજ-રૂપી આકાર મળ્યો છે.આત્મામાં જન્મ-મરણ-આદિ બિલકુલ સંભવ નહિ હોવા છતાં ચિત્તને લીધે જ,તેમાં જન્મ-મરણ જોવામાં આવે છે.આત્માના (તત્વના) યથાર્થ જ્ઞાનથી જ ચિત્તનો સંપૂર્ણ નાશ થાય છે.માટે સમજુ પુરુષે ચિત્તનો "વિચાર" કરવો જોઈએ. કે જે ચિત્ત "જીવ-અંતઃકરણ-ચિત્ત અને મન" એવાં અનેક નામો ધરાવે છે.

Apr 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-490

હે ઉત્તમ બુદ્ધિવાળા રામ,દ્વૈત નો ઘડીભર સ્વીકાર કરવા છતાં પણ-દેહના અને આત્માના સંબધ નો સંભવ થતો નથી.ત્યારે દ્વૈતનો સ્વીકાર- ના- કરવાના-સિદ્ધાંત-પક્ષમાં તો દેહ અને આત્મા ના સંબંધની કલ્પના ક્યાંથી હોય? જેમ,દેહના અને આત્માના સંબંધ નું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે-તેવી જ  રીતે- દ્વૈત નું ખંડન કરવા પણ ઘણી યુક્તિઓ છે.માટે તમે દ્વૈત-રૂપી ભ્રમને છોડી દઈને અદ્વૈત માં જ સ્થિતિ કરો.

Apr 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-489

હે રામ, જેમ,આકાશ મનુષ્યોના વિષય-રૂપ નથી,તેમ વિદેહ-મુક્તિ અનુભવના કે વચનોના વિષય-રૂપ નથી.જેમ આકાશમાં પવનો જ પહોંચે છે,તેમ, જેમાં વિદેહમુકતો જ પહોંચે છે એવી એ પરમ વિશ્રાંતિ ની પદવી,તો બીજા સામાન્ય જીવન જીવતા માનવીને દૂર કરતાં અત્યંત અત્યંત દૂર છે.આમ,જાગ્રતમાં જ સુષુપ્તિ જેવી અવસ્થાથી કેટલાક કાળ સુધી,જગતની સ્થિતિ ભોગવીને પછી,પરમ આનંદમાં ઘુમેલો પુરુષ "તુર્યાવસ્થા" (જીવનમુક્તિ) ને પ્રાપ્ત થાય છે.

Apr 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-488

હે રામ, તમે પણ સુષુપ્તિ (જાગ્રતમાં પણ સુષુપ્તિ) જેવી વૃત્તિનો આશ્રય કરીને,પ્રારબ્ધના યોગે આવી પડેલાં વર્ણાશ્રમ કર્મો કરો,અને કદાચ એ કર્મો ના કરો તો પણ કંઈ નહિ.
જ્ઞાની પુરુષને કર્મોનો સ્વીકાર પણ ગમતો નથી અને ત્યાગ પણ ગમતો નથી.
પોતાના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષો,કોઈ પણ આસક્તિ રાખ્યા વિના
જે સમયે જે ક્રિયા આવી પડે તે ક્રિયાને અનુસરીને વર્તે છે.

Apr 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-487

તેમ જ શરીરમાં,ભોગોરુપી ઇન્દ્રિયોની વૃત્તિઓમાં,ઇંદ્રિયોમાં,યોગ સંબંધી ધારણ કરવાનાં-
પ્રાણ,બ્રહ્મરંઘ્ર,ભ્રુકૃટીઓનું-મધ્ય,નાસિકાનો અંત,મુખ તથા કીકીઓ-ઈત્યાદિ સાધનોમાં,
અંધકારમાં,પ્રકાશમાં,હ્રદયાકાશમાં,જાગ્રત-સ્વપ્ન કે સુષુપ્તિમાં,સત્વ-રજસ કે તમોગુણમાં,કાર્ય પદાર્થોમાં,માયામાં,સૃષ્ટિના આદિ-મધ્ય કે અંતકાળમાં,ટુકડામાં,દુર કે પાસે રહેલામાં,નામ-રૂપાદિમાં,જીવમાં,શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધમાં,વિષયોની અભિલાષથી પરવશતામાં,વિષયોના ઉપભોગ-રૂપી ફળમાં,બીજા લોકમાં જવા-આવવાની સિદ્ધિઓમાં અને લાંબા કાળ સુધી જીવવા-આદિ સિદ્ધિઓમાં-પણ સમજુ પુરુષે,પોતાના મનને આસક્ત રાખવું નહિ.

Apr 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-486

હે રામ,વંદ્યા (વંદન કરવા કે વખાણવા યોગ્ય) કે વંધ્યા (વાંઝણી-પુરુષાર્થ-રૂપી ફળથી રહિત) એમ બે પ્રકારની આસક્તિ છે.તત્વવેત્તાઓને સ્વરૂપ ના અનુસંધાનમાં જે આસક્તિ છે,તે વંદ્યા-આસક્તિ છે.
આત્મ-તત્વનો  બોધ નહિ થતા,દેહ-વગેરેમાં થયેલી દૃઢ આસક્તિ કે જે ફરીવાર પણ સંસારમાં જ નાખનારી છે,તે વંધ્યા-આસક્તિ કહેવાય છે. સાચા વિવેકને લીધે,આત્મ-તત્વનો બોધ થતાં,સ્વરૂપના અનુસંધાનમાં દૃઢ આસક્તિ કે જે ફરીવારના સંસારના ફેરાને ટાળી  જ નાખે છે,તે વંદ્યા-આસક્તિ કહેવાય છે.

Apr 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-485

પરમાત્મામાં લાગેલા મન વાળો પુરુષ,પોતાનું મન સારાં-નરસાં કર્મોની આસક્તિથી રહિત હોવાને લીધે,તેના શરીરથી બ્રહ્મ-હત્યા થાય તો પણ તેના પાપથી લેપાતો નથી,
અને શરીરથી અશ્વમેઘ યજ્ઞ કરે તો પણ તેના પુણ્ય થી લેપાતો નથી.
એટલે કે-તેવો જીવ,બહારની કોઈ પણ ક્રિયાઓ કરતો હોય તો પણ તે કદી કર્તા કે ભોક્તા થતો નથી.તેથી બહારની ક્રિયાઓ (કર્મો) કરવાથી કે ના કરવાથી તેને કોઈ લાભ કે હાનિ નથી.

હે,રામ,માટે શરીરની સાથે સંબંધ ધરાવનારી સઘળી વસ્તુઓને તથા સર્વે ક્રિયાઓને મનથી બહાર રાખવી,
અને સઘળાં દુઃખોને ઉત્પન્ન કરનાર આસક્તિને,અત્યંત ક્રૂર સમજીને ત્યજી દેવી.
એટલે- આસક્તિ-રૂપી મેલથી રહિત થયેલું મન,પરમાત્મામાં મળીને એક-રસ થઈ જાય છે.

Apr 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-484

જેમ જળની સાથે સંબંધ પામેલ લાકડાં-પથરાઓ જળ થી જુદા પડી જાય,તો પણ જળને કશી હાનિ નથી,તેમ,આત્માની સાથે કલ્પનાથી સંબંધ પામેલાં શરીરો છૂટાં પડી જાય તો તેથી આત્માને કોઈ હાનિ નથી.
જેમ,લાકડાંથી સંબંધ પામેલા,જળમાં કંપ-ધ્વનિ-વગેરે પેદા થાય છે,
તેમ,આત્માની સાથે રહેવાના સંબંધથી આ દેહમાં ગતિ-ધ્વનિ-વગેરે ઉત્પન્ન થાય છે.

ચૈતન્ય અસંગ છે અને શરીર જડ છે,માટે ચૈતન્યને સુખ-દુઃખ નથી તેમ શરીરને પણ સુખ-દુઃખ નથી.
જે કંઈ સઘળું સુખ-દુઃખ થાય છે તે-અહંકારને જ થાય છે,માટે અહંકાર નષ્ટ થઇ જાય તો કોઈ પીડા રહે નહિ.
અજ્ઞાની પુરુષ જેવો આ સંસારને દેખે છે તેવો જ સાચો માને છે,પણ જ્ઞાની સંસારને સાચો માનતો નથી.
જો કે-જ્ઞાની મનુષ્ય તો સંસારને અધિષ્ઠાન-પણાથી સાચો માને છે,સંસાર-રૂપ-પણાથી નહિ.

Apr 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-483

વિલાસ કહે છે કે-હે,ભાસ,તું ભલે આવ્યો.મારાથી છૂટા પડ્યા પછી,આ જગતમાં આટલા દિવસો તેં ક્યાં કાઢ્યા?તારું તપ સફળ થયું? તારી બુદ્ધિ શાંત રહે છે ને? તને તત્વબોધ મળ્યો? તું કુશળ છે ને?

ભાસ કહે છે કે-હે,વિલાસ,તું પણ આજ મને જોવામાં આવ્યો એ બહુ સારું થયું અને મારું આવવું સફળ થયું.હે ભાઈ,જ્યાં સુધી જાણવાની વસ્તુ,જાણવામાં આવી નથી,ચિત્તના કામ-આદિ સંકલ્પો ક્ષીણ થયા નથી અને આ સંસાર-સમુદ્ર તરાયો નથી,ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી જ હોય? જ્યાં સુધી,ચિત્તની વાસનાઓ કપાઈ ગઈ નથી,યોગ્ય સમજણ મળી નથી,અને આત્મજ્ઞાન ઉદય પામીને આત્માનો લાભ મળ્યો નથી,ત્યાં સુધી આપણું કુશળ ક્યાંથી હોય?

Apr 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-482

ભરપૂર આકાર-વાળી,અને આકાશની શોભા જેવી વિસ્તીર્ણ-એ "નિર્વિકલ્પ અવસ્થા"
"વિક્ષેપોથી રહિત-પણા-રૂપ-અવસ્થા" ના અંશમાં (એટલે કે એ રીતે જોવામાં આવે તો) સુષુપ્તિ જેવી જણાય છે. જો કે આ બંને અવસ્થાઓમાં ઝાઝો કંઈ ફરક નથી.

મન તથા અહંકારનો લય થઇ જતાં,વિચારથી પોતાની મેળે સિદ્ધ થનારી,બ્રહ્માત્મક-રૂપી નિર્વિકલ્પ અવસ્થા,વચનથી વર્ણવી શકાય તેમ નથી.કેવળ હૃદયમાં જ અનુભવમાં આવે છે.તેમ છતાં જો તેની નકલ જોઈતી હોય,(એટલે કે તેના સમાન કંઈ જો કહેવું જ હોય) તો-તે "સુષુપ્તિ" (જેવું)  છે.હે,રામ જેમ અનુભવ કર્યા વિના ખાંડ આદિ પદાર્થોમાંનું,"તત્વ" (સ્વાદ) અનુભવ કર્યા વિના જણાતું નથી,તેમ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણ "અનુભવ" વિના જણાતું નથી.(એટલે કે તેનો-માત્ર-અનુભવ જ થઇ શકે!!)

Apr 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-481

હે,રામ,આ સંસાર-રૂપી અરણ્યમાં ફરનારો જીવ-રૂપી બળદ,કે જે સેંકડો આશાઓ-રૂપી પાશથી બંધાયેલો છે,અને ભોગો-રૂપી તરણાં (ઘાસ) ની અત્યંત લાલચ રાખ્યા કરે છે.
તે પોતાનાં પહેલાં કરેલાં પાપો-રૂપી અનર્થમાં સર્વદા ડૂબેલો જ રહે છે,દુઃખી થયા કરે છે અને નિરુપાય છે.કર્મોના ફળો-રૂપી બોજો માથે પડવાથી,તે શરીરમાં ખેદ પામ્યા કરે છે અને રોગાદિની પીડાઓને લીધે દયામણી ચીસો નાખ્યા કરે છે.તેને (તે જીવ-રૂપી બળદને) લાંબા કાળના વૈરાગ્ય-આદિ પ્રયત્નથી અને જ્ઞાન-રૂપી બળથી મોહ-રૂપી જળાશયના કાદવમાંથી  બહાર કાઢવો જોઈએ.

Apr 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-480

સુરઘુ કહે છે-પદાર્થ એક સમયે સારો લાગે છે તે બીજા સમયે તુચ્છ ભાસે છે,તો એ રીતે સંસારના સઘળા પદાર્થોમાં સારા-નરસા-પણા નું કોઈ ઠેકાણું નહિ હોવાને લીધે,પદાર્થોને સારા-નરસા ગણવા-રૂપી મારા મનની સ્થિતિઓ,ઘણા કાળથી ક્ષીણ થઇ ગઈ છે.

આ લોકમાં જે નિંદા કે સ્તુતિ  થાય છે,તે રાગથી જ થાય છે,અને તે રાગ એ ઈચ્છા જ છે.સારી બુદ્ધિવાળો તત્વવેત્તા પુરુષ તો સર્વથી ઉત્કૃષ્ટ-એક-પરબ્રહ્મ-રૂપી વસ્તુમાં જ રાગ ધરાવે છે.માટે તે બીજા સઘળા પદાર્થોની ઈચ્છા વિનાનો હોવાને લીધે,કયા પદાર્થ ની નિંદા કરે કે કયા પદાર્થની સ્તુતિ કરે? જેમાં કોઈ પણ પદાર્થ ઇચ્છવા યોગ્ય નથી,એવા શૂન્ય જગતમાં કયા પદાર્થ ની ઈચ્છા થાય?

Apr 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-479

સુરઘુ કહે છે-જેઓ નિત્ય જ્ઞાન-યુક્ત ચિત્તવાળા અને આત્મતત્વમાં નિષ્ઠાવાળા હોય છે,તેઓ ભલે જગતની ક્રિયાઓ કરતા હોય તો પણ સમાધિવાળા જ છે.
પદ્માસન વાળીને બ્રહ્માંજલિ કર્યા છતાં પણ જેનું ચિત્ત શાંત થયું ન હોય,તો તેની સમાધિ શું કામની છે?
હે,મહારાજ,સઘળી આશાઓ-રૂપી ખડોને બાળી નાખવામાં,અગ્નિ-રૂપ જે તત્વબોધ છે -તે જ-સમાધિ છે.ચૂપ થઈને એકાંતમાં બેસી  રહેવું એ સમાધિ નથી.

Apr 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-478

તપ કરતો,જિતેન્દ્રિય અને શાંત બુદ્ધિવાળો એ રાજા,વૃક્ષો પરથી પોતાની મેળે ખરી પડેલાં પર્ણો (પાંદડાં) ખાઈને રહેવા લાગ્યો.લાંબા સમય સુધી પર્ણોનું જ ભક્ષણ કરવાને લીધે તે "પણાઁદ" એ નામથી ઓળખાવા લાગ્યો.પછી હજાર વર્ષ સુધી દારુણ તપશ્ચર્યા કરીને -અભ્યાસને લીધે,તે રાજા અંતઃકરણની શુદ્ધિથી અને ઈશ્વરના અનુગ્રહ થી,જ્ઞાનને પ્રાપ્ત થયો,જીવનમુક્ત થયો.અને પોતાની ઈચ્છા મુજબ ત્રૈલોક્ય માં વિચરવા લાગ્યો.

એક વખત તે પરિઘ (પણાઁદ) રાજા સુરઘુરાજાને ઘેર આવી પહોંચ્યો.બંને રાજા પરસ્પરના મિત્ર હોવાને નાતે,પરસ્પરની પૂજા કરી, બંને એકબીજાને મળવાથી અત્યંત ખુશ થઈને,આસન ગ્રહણ કર્યું.

Apr 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-477

"સઘળું જગત  એ ચૈતન્ય-તત્વમાં થયેલી એક જાતની કલ્પના-રૂપ છે" એવો નિશ્ચય હોવાને લીધે,
સુખ-દુઃખોથી રહિત થયેલી એ સુરઘુ રાજાની પૂર્ણ-બુદ્ધિ અત્યંત શોભવા લાગી.
તત્વ ને સમજેલો અને ચૈતન્યમાં એકતા પામેલો હોવાને લીધે,પૂર્ણ થયેલો એ રાજા,
વિલાસ કરતાં,રાજ્યનાં સુખ ભોગવતાં,ચાલતાં,બેસતાં,ઉભા રહેતાં કે સૂતાં પણ-
નિર્વિકલ્પ સમાધિમાં રહેલા જેવો જ રહેવા  લાગ્યો.