May 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-812

વસિષ્ઠ કહે છે કે-રાજાનું આ વચન સાંભળીને,કુંભમુનિએ,ખેદથી કંઠ રૂંધાયો હોય તેવી,ગદગદ વાણીથી કહ્યું કે-જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી,સમાન ચિત્ત રાખી,હર્ષ-શોક વગેરે કોઈ પણ વિકાર ના પામતાં,જેઓ કર્મેન્દ્રિયોથી વ્યવહાર કરતા રહેતા નથી-તેઓ ખરેખર તત્વજ્ઞ નથી,પણ "દંભી" હોવાથી શઠ જ છે.હે રાજા,જેઓ તત્વને ના જાણવાથી અજ્ઞાનમાં જ ડૂબેલા રહે છે,તેઓ પોતાની બાળ-બુદ્ધિને લીધે,સ્વભાવથી જ દેહના યોગે ગ્રહણ કરાયેલી અવસ્થાઓથી ભયભીત થઈને નાસવા માંડે છે.

May 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-811

તેઓ સાથે જ પૂજન કરતા,ભોજન લેતા અને બંનેની બુદ્ધિ સમાન હતી,તેથી પરસ્પર મિત્ર બની શોભતા હતા.
એ રીતે બંનેના કેટલાક દિવસો કોઈ વાસના વગર અને સમાન ચિત્ત-વાળા થઈને વીતવાથી,રાજા શિખીધ્વજ પણ કુંભમુનિના જેવો જ શોભવા લાગ્યો.
ત્યારે તે શિખીધ્વજ રાજાને દેવપુત્ર જેવો મનોહર શોભાવાળો જોઈ ચૂડાલાએ મનમાં વિચાર કર્યો કે-મારો પતિ સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો છે અને આ વનભૂમિઓ પણ બહુ રમણીય છે,આવી સ્થિતિ અનાયાસે પ્રાપ્ત થાય, તો એવી કોણ સ્ત્રી હોય કે,આવા સમયે કામ વડે છેતરાય નહિ?

May 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-810

કુંભમુનિ કહે છે કે-જ્યારથી તમને છોડીને દેવ-સભા (સ્વર્ગ) માં ગયો,ત્યારથી જ મારું ચિત્ત તમારી પાસે આવવા ખેંચાતું હતું,તેથી સ્વર્ગ ભલે રમણીય હોય,પણ હમણાં હું તમારી પાસે જ રહીશ.હે રાજા, તમારા જેવો બીજો કોઈ મારો બંધુ,શિષ્ય,ભરોસાદાર,સુહૃદ આ જગતમાં છે જ નહિ,એમ હું માનું છું.

શિખીધ્વજ કહે છે કે-અહો,આ મંદરાચળમાં અમારાં પુણ્ય-રૂપી વૃક્ષો ફલિત થયાં,કેમ કે આપ અસંગ છતાં અમારા સમાગમને ઈચ્છો છો.હું આપનો ભાવિક સેવક છું,આપની ઈચ્છા હોય તો આપ ભલે અહી મારી પાસે રહો.
હે દેવપુત્ર,આપે બોધ દ્વારા આપેલી યોગની યુક્તિ વડે,મને જેવી શાંતિ મળી છે,તેવી શાંતિ હું ધારું છું કે સ્વર્ગમાં પણ ના મળી શકે.

May 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-809

જેનો દેહ,ચિત્ત શાંત થઇ જવાથી,સત્વ-વડે,અહં-તત્વના અધ્યાસથી રહિત થઇ ગયો હોય,તે દેહને આકાશની પેઠે વૃદ્ધિ-ક્ષય આદિ ભાવ-વિકારો બાધ કરી શકતા નથી.
જેમ ચંચળતા વગરના જળમાં તરંગ વગેરે ઉત્પન્ન થતા નથી,તેમ,સમાન-પણાથી રહેલ (સંકલ્પ-રહિત) સત્વ-સમુહમાં પણ રાગ-દ્વેષ-આદિ "ચિત્ત-દોષ",અને યુવાની-ઘડપણ-આદિ "દેહ-દોષ" ઉત્પન્ન થતા જ નથી.
પ્રારબ્ધનો નાશ થયા વિના એ "સત્વ" નો અભાવ થતો નથી.
પરંતુ પ્રારબ્ધ રહે ત્યાં સુધી એ  "સત્વ" સર્વ નિર્વિકાર એક તત્વ-રૂપ જ ભાસે છે,પછી ફક્ત કાળે કરીને પ્રારબ્ધનો ક્ષય થઇ જતાં-એ "સત્વ"નો પણ ક્ષય થઇ જાય છે.

May 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-808

એમ વિચાર કરીને,તે ચૂડાલાએ પોતાના પતિ શિખીધ્વજ રાજાની પાસે વારંવાર ભયંકર સિંહનાદ કર્યો,તેમ છતાં રાજા જરા પણ ચલાયમાન ના થયો,ત્યારે રાણીએ તેનો હાથ ઝાલી હલાવ્યો,હલાવ્યાથી તે જમીન પર પડી ગયો,છતાં તે રાજા જયારે સમાધિમાંથી જાગ્રત થયો નહિ,ત્યારે,રાણીએ ફરી વિચાર કર્યો કે-અહો,આ રાજા તો છેક સાતમી ભૂમિકાની પરિપાક દશાએ પહોંચી ગયા લાગે છે,તો હવે તેને કોઈ પણ  યુક્તિ વડે શા માટે જાગ્રત કરવા જોઈએ? એ ભલે વિદેહમોક્ષને પ્રાપ્ત થાય,હું પણ આ સ્ત્રી શરીરને ત્યજી દઈ,પાછો પુનર્જન્મ ના થાય તે માટે પરમપદને (વિદેહમુક્તતાને) પ્રાપ્ત થઇ જાઉં,કેમ કે અહી જીવવામાં શું વિશેષ સુખ છે?

May 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-807

આ પ્રમાણે વિચાર કરતાં કરતાં વાસનારહિત ચિત્ત-વાળો એ રાજા,પથ્થરની બનાવેલી મૂર્તિની પેઠે,વાણી-વગેરેની ચેષ્ઠા વગરનો,સમાધિસ્થ જ થઈ રહ્યો,અને સંકલ્પ વગરની નિર્વિકલ્પ સમાધિમાં જ તે દૃઢ સ્થિતિને પ્રાપ્ત થઇ પથ્થરની પેઠે નિશ્ચલ થઇ ગયો.એ રાજાને સમાધિમાં પોતાના નિર્મળ આત્માનો લાભ (અનુભવ) થવાથી,ઘણા લાંબે કાળની પોતાની ભયભીત બુદ્ધિને શાંત કરી,પરબ્રહ્મ સાથે એકરૂપ થઇ જઈ,અને ઘણા લાંબાકાળ સુધીના  પોતાના અભ્યાસ વડે કરેલા યોગથી,પોતાના સ્વરૂપમાં રહી સુષુપ્તિ (નિંદ્રા)ની પેઠે નિર્વિકલ્પ સમાધિમાં વિશ્રામ લીધો.

Apr 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-806

પોતાના સ્વરૂપનો "અપરોક્ષ" રીતે અનુભવ કરનારા જીવનમુક્ત પુરુષોમાં અને સર્વત્ર ફેલાઈ  રહેલું,એ "આત્મ-તત્વ" પોતે જ પોતાના આત્મા-રૂપનો દાખલો ટાંકીને  બતાવે છે.
હે રાજા,આદિ-મધ્ય-અંત-વગેરેના કાળ-પરિમાણથી રહિત અને સર્વના સાર-રૂપ એવા,તે આત્મ-સ્વરૂપને તમે પ્રાપ્ત થયા છો,એટલે હવે તે આત્મ-તત્વ-રૂપી-પરમ-પદમાં તમે દૃઢ થઈને રહો.ભેદ કરનાર,દેહ-આદિ ઉપાધિ હવે રહી નથી,એટલે તમે ભેદ વગરના,સર્વ-વ્યાપી,ચેતન-સ્વરૂપ થઇ ગયા છો,અને શોક-રહિત થયા છો.

Apr 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-805

જે કંઈ સુખ-સ્વર્ગ-આદિ ફળને આપનાર (કર્મકાંડ-વગેરે) છે-તે સર્વને ત્યજી દઈ,
તમે એકસરખી રીતે પરબ્રહ્મમાં (આભાસ-રૂપે) રહી,તેના જેવા જ શુદ્ધ આત્મ-રૂપ થઈને રહો.
સર્વ પદાર્થોમાં ચૈતન્યના અંશને સત્ય અને જડ-અંશને અસત્ય માનીને,નિઃસ્પૃહપણાથી (અનાસક્તિથી) આ સર્વ પદાર્થ સમૂહને ગ્રહણ કરવા છતાં પણ તમે "સંકલ્પ" વિનાના થઈને રહો.

Apr 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-804

સ્વર્ગ-આદિનું જે સુખ છે,તે ક્ષણભંગુર (અનિત્ય) હોવાથી મોક્ષના સુખ જેવું તે સ્વર્ગનું સુખ નથી.
(નોંધ-સ્વર્ગમાં પુણ્યનો ક્ષય થઇ જાય એટલે ત્યાંથી પાછા પૃથ્વી પર ધકેલી દે છે!!)
એટલે કે તે (સ્વર્ગ-સુખ) ઉત્પત્તિ (આદિ) અને લય(અંત) -એ બંને વડે ઘેરાયેલું છે (આદિ-અંતમાં તે દેખાતું નથી)
એટલે વચમાં (મધ્યમાં) જેટલો સમય "સ્વર્ગમાં સ્થિતિ" હોય,તેટલો જ સમય તે (સુખ) દેખાય છે.માટે સ્વર્ગનું સુખ પણ એક જાતનું તુચ્છ સુખ છે (જોકે,આગળ આવી ગયું છે કે-સ્વર્ગ-નર્ક,પાપ-પુણ્ય એ એક કલ્પના જ છે!!)
વળી તે (સ્વર્ગ-સુખ) થોડા અપરાધ (કે પાપ) વડે નાશ પામે છે-એટલે તે સુખ વિષે પણ સંદેહ (શંકા) જ છે !!

Apr 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-803

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,આપ કહો છો તે પ્રમાણે મૂર્ખ મનુષ્યને જ ચિત્ત હોય છે,બાકી ચિત્તના સ્વરૂપને (મિથ્યા) સમજનાર જ્ઞાની પુરુષને ચિત્ત હોતું જ નથી,તો પછી,ચિત્ત વગરના તમારા જેવા બીજા જીવન્મુક્ત પુરુષો શી રીતે વ્યવહાર કરે છે તે,વિષયનો ખુલાસો આપ જ કરો.

Apr 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-802

કુંભમુનિ કહે છે કે-જેમ શુદ્ધ-સફેદ વસ્ત્રમાં,કંકુ-વાળા-જળનાં બિંદુઓનો રંગ બરાબર લાગી જાય છે,તેમ,જયારે,ચિત્ત,ભોગ-વાસનાઓને છોડીને,શાંત થઈને રહે,ત્યારે જ તે (શુદ્ધ) ચિત્તમાં,ઉપદેશ બરાબર લાગે છે.
અનંત યોનિઓમાં ભટકવાથી,અનેક શરીરો વડે,મેલો થયેલો,
તમારો,અનંત વાસના-રૂપી મેલ,આજે પાકી ગયો છે.
જેમ વૃક્ષ પરથી પાકી ગયેલાં ફળો,વૃક્ષથી છૂટાં પડે છે,અને જમીન પર પડી જાય છે,તેમ,કાળે કરીને પાકી જતાં રાગ-આદિ-વાસના-રૂપ મેલો (પાપો)
લિંગ-દેહથી છૂટાં પડે છે.(નાશ પામે છે)

Apr 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-801

હે શિખીધ્વજ રાજા,જેમ અગ્નિમાં જવાળાઓ, પવન વડે ઉત્પન્ન થાય છે,
તેમ ચિત્ત આદિ કે જે સંકલ્પથી ઉત્પન્ન થાય છે અને સંકલ્પનો નાશ થવાથી નાશ પામી જાય છે.
એ રીતે એક આત્મ-તત્વથી ભરપૂર સર્વત્ર પ્રસરી ગયેલી બ્રહ્મ-સત્તા વડે,સર્વ જગત ભરચક છે.
હું નથી,તમે નથી કે બીજા કોઈ પણ નથી,આ દૃશ્ય પદાર્થો પણ નથી,ચિત્ત પણ નથી અને આકાશ પણ નથી,
એક ફક્ત નિર્મળ આત્મા જ છે.એ જ આત્મા (જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં)
જુદાજુદા પદાર્થો રૂપે દેખાય છે,તો તેમાં દ્રષ્ટા-દર્શન-દ્રશ્યની ત્રિપુટીની ખોટી કલ્પના ક્યાંથી હોય?

Apr 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-800

કર્તા,કર્મ અને કારણ વગરના એ પરબ્રહ્મમાં કારણપણું છે જ નહિ,
તેથી તેના કાર્ય-રૂપે જણાતું આ નામરૂપવાળું જગત થયું જ નથી.
માટે શુદ્ધ આકાશના જેવું બ્રહ્મ જ (કે જે તમારું સ્વરૂપ પણ છે તે જ) સત્તા-રૂપે સર્વત્ર રહેલ છે,
આથી તમે એવી જ (એ બ્રહ્મની જ) ભાવના રાખો.એ બ્રહ્મ જ અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં જગતના આકારે ફેલાઈ રહેલું દેખાય છે (તેને જગત જ દેખાય છે) અને જ્ઞાનીને જગત,નિર્વિકાર સત્ય-બ્રહ્મ,આકારે ભાસે છે.

Apr 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-799

જેમ  ગતિ વિનાનો વાયુ,પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે,
જેમ આકાશમાં દીવા વગેરેના આકાર વિના પણ પ્રકાશ રહે છે,
તેમ આ જગત,પોતાના નામ-રૂપ વિના,બ્રહ્મમાં એકરૂપ થઈને રહે છે.
જ્ઞાન થતાં બ્રહ્મ-રૂપ થયેલા,આ જગતના બાહ્ય (રૂપ-આદિ) વિષયો અને અંદરના (સંકલ્પ-આદિ) વિષયો,નિઃસાર છે,અને તે અસત્ય હોવા છતાં મિથ્યા-રૂપ જ ભાસી રહ્યા છે.
આમ,સૃષ્ટિનાં નામ-રૂપ બાદ કરતા,સર્વ સૃષ્ટિ પરબ્રહ્મ-રૂપ જ છે અને પરબ્રહ્મ સર્વ સૃષ્ટિ-રૂપ છે.(એ જ "સર્વ ખલ્વિદમ બ્રહ્મ" વગેરે ઉપનિષદનાં વચનોનો ખરો અર્થ છે)

Apr 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-798

આ પ્રમાણે,આ સઘળું જે કંઈ છે-તે શાંત બ્રહ્મ-રૂપ છે,અને અહંકાર જગત આદિ -નામરૂપનું સ્વરૂપ તો આકાશની જેમ શૂન્ય છે.
જે સર્વ સંસારના નામે દેખાય છે-તે આદિ-મધ્ય-અંત રહિત,
એવું "ચૈતન્ય-આકાશ" જ (માયાના સંબંધ વડે) ચમત્કાર-વાળું થઈને,પોતાના ચકમકાટથી દીપી રહ્યું છે.

જેમ,સોનાના દાગીનાઓમાં,તેના આકારની દ્રષ્ટિ મટી જતાં,તે સઘળું સોના-રૂપ જ દેખાય છે,
તેમ,જગત-આદિ પદાર્થોમાં,તેના નામરૂપની દ્રષ્ટિ મટી જતાં,આ સઘળું બ્રહ્મ-રૂપ જ દેખાય છે.
"હું છું" એવો સંકલ્પ જ માત્ર અનેક અનર્થો ઉત્પન્ન કરનારા બંધનમાં નાખે છે,અને "હું નથી" એવો સંકલ્પ નિર્મળ સુખ-રૂપ મોક્ષ આપનાર છે.

Apr 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-797

અજ્ઞાની પુરુષોએ,પોતાના ચિત્તને જ આ દૃશ્ય આકારે કલ્પી લીધેલું છે.
એ નિરાકાર ચિત્ત પણ ઉપર કહ્યા મુજબ,પ્રથમથી જ નહિ થયાથી અસત્ય છે અને સૃષ્ટિના આરંભ-કાળમાં પણ તેનું કોઈ કારણ નહિ હોવાથી,
સર્વદા એ ઉત્પન્ન થયેલું જ નથી.લોક,શાસ્ત્ર અને અનુભવથી વિચાર કરતા,દૃશ્ય-વસ્તુ(જગત)નું અનાદિ-પણું,જન્મ-આદિ વિકાર-પણું,કે નિત્ય-પણું ઘટતું જ નથી.

Apr 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-796

(૯૮) ચિત્તસત્તાનો નિરાસ (અસંભવતા)

શિખીધ્વજ કહે છે કે-ચિત્ત,છે જ નહિ,એવો બોધ,સહેલી રીતે થઇ જાય તેવી કોઈ બીજી યુક્તિ વિષે કહો,અથવા પ્રથમ કહેલી યુક્તિને સ્પષ્ટ રીતે કહી બતાવો,કેમ કે હજી હું સારી રીતે તે સમજ્યો નથી.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,કોઈ દેશ-કાળ કે વસ્તુ-રૂપે અજ્ઞાનથી જે ભાસે છે તે ચિત્ત,
જ્ઞાનથી જોતાં છે જ નહિ,જે કંઈ ચિત્ત-રૂપે ભાસે છે,તે એક સત્ય બ્રહ્મ-સ્વરૂપ જ છે.
તો પછી હું,તમે,તે -વગેરે ચિત્તે કલ્પેલી કલ્પના ક્યાંથી હોય?
ભ્રમ વડે,જે કંઈ આ જગત દેખાય છે,તે બધું એક-બ્રહ્મરૂપ છે અને  દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-પણ બ્રહ્મરૂપ છે,તો પછી તે -બ્રહ્મ,કોનાથી જણાય? અને શી રીતે જણાય?

Apr 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-795

તે બ્રહ્મ કૂટસ્થ (ગતિ-ભેદ-કે જાતિ વગરનું) અદ્વિતીય અને કાર્ય-કારણ રહિત છે,
માટે તે કોઈ રીતે પણ કોઈ કાર્યનું ઉપાદાન-કારણ કે નિમિત્ત-કારણ નથી અને તેનાથી સૃષ્ટિ થયેલી જ નથી.
આ જગતમાં નામ-રૂપમાં પ્રીતિને લીધે ચિત્તને રંજન કરનારું આ જે કંઈ દેખાય છે,
તે સર્વ ચૈતન્યમાં એક-રૂપે જ રહેલું છે,છતાં,માયા વડે,કેમ જાણે ઉત્પન્ન  થયું હોય તેમ લાગે છે.
વળી,કોઈ પણ પદાર્થમાં કારણ વિના કાર્ય ઘટતું નથી,
માટે,દ્વિત્વ-એકત્વ-વગેરે સંખ્યાવાળું આ જગત,
જો પોતાના અનુભવથી બરોબર વિચારવામાં આવે તો-આકાશમાં ફૂલના હોવાની પેઠે મિથ્યા જ છે.

Apr 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-794

આમ, કેવળ ચૈતન્ય-રૂપ-આત્મામાં,જે સૃષ્ટિની પ્રતીતિ થાય છે,તે ચૈતન્ય-રૂપ જ છે અને (તે સૃષ્ટિ) ઉત્પન્ન જ નહિ થયા છતાં,માયા વડે ઉત્પન્ન થયા જેવી ભાસે છે.તે અધિષ્ઠાનચૈતન્ય જ સૃષ્ટિના આદિકાળમાં- પોતે નિર્વિકાર,પ્રકાશ-રૂપ અનાદિ અને પોતાના સ્વરૂપનો ત્યાગ નહિ કરતા અને અનેક-રૂપે ઉત્પન્ન નહિ થયા છતાં,કેમ જાણે પોતાના ચૈતન્ય-સ્વ-રૂપ વડે,માયાથી પોતે અનંત (સમષ્ટિ) ચિત્ત-રૂપે થઇ રહેલ હોય તેમ દેખાય છે.અને સ્થૂળતાની કલ્પનાને લીધે,હિરણ્યગર્ભથી સ્થૂળ વિરાટને આકારે પ્રસરી રહેલ હોય તેમ લાગે છે.

Apr 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-793

કુંભમુનિ કહે છે કે-હે રાજા,હવે તમે તત્વ-દ્રષ્ટિથી બરાબર સત્ય સમજ્યા છો.
જગત-અહંકાર વગેરે કશું પણ એ શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યમાં છે જ નહિ.
પોતાના નામ-રૂપ વગરનું એ જગત પણ પરબ્રહ્મ-રૂપ જ છે.
જેમ આકાશનું અંદર આકાશથી પણ અતિસૂક્ષ્મ "માયા-રૂપી-આકાશ" (વાદળાં) વડે રચાયેલું,ગંધર્વનગર,મિથ્યા હોવાથી,આકાશની સત્તા વડે જ રહેલું છે,તથા જેમ,બ્રહ્મ-રૂપ હોવાથી "શૂન્યતા વગરના આકાશ"માં આકાશની સત્તાથી જ શૂન્યતા રહેલી છે,તેમ,આ જગત,ઈશ્વરની સત્તાથી ઈશ્વરમાં (સગુણ બ્રહ્મમાં) રહ્યું છે.