અધ્યાય-૭૦-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ अकरोत्तुमुलं युद्धं भीष्मः शांतनवस्तदा I भीमसेनभयादिच्छन्पुत्रास्तारयितुं तव ॥१॥
સંજયે કહ્યું-તે દિવસે શાંતનુકુમાર ભીષ્મે,તમારા પુત્રોને ભીમસેનના ભયથી ઉગારાવાની ઈચ્છાથી તુમુલ યુદ્ધ કર્યું.
કૌરવો અને પાંડવોના મુખ્ય મુખ્ય યોદ્ધાઓનો નાશ કરનારું,બંને પક્ષના રાજાઓનું તે ભયંકર યુદ્ધ તે દિવસના પૂર્વભાગમાં શરુ થયું ત્યારે આકાશને ફાડી નાખે તેવો તુમુલ શબ્દ થઇ રહ્યો.વિજય મેળવવા માટે પરાક્રમ કરતા,મહાબળવાન યોદ્ધાઓ મોટા વૃષભની જેમ સામસામા ગર્જનાઓ કરતા હતા.તીક્ષ્ણ બાણોના પ્રહારથી રણભૂમિ પર પડતાં મસ્તકો,આકાશમાંથી પડતી પથ્થરોની વૃષ્ટિ સમાન જણાતાં હતાં.આખી યુદ્ધભૂમિ,કપાયેલાં શરીર ને શરીરના અવયવોથી છવાઈ ગઈ હતી.





