અધ્યાય-૭૩-પાંચમો દિવસ (ચાલુ)-દ્વંદ્વ યુદ્ધ
॥ संजय उवाच ॥ विराटोथत्रिभिर्बाणैर्भिष्ममार्च्छन्महारथम् I विव्याध तुर्गाश्वास्य त्रिभिर्बाणैर्महराथः ॥१॥
સંજયે કહ્યું-ત્યાર પછી,મહારથી વિરાટ રાજાએ,મહારથી ભીષ્મ પર ત્રણ બાણોનો પ્રહાર કર્યો અને બીજા ત્રણ બાણો મૂકીને તેમના ઘોડાઓને વીંધી નાખ્યા.ભીષ્મે પણ સામે તેને દશ બાણોથી વીંધ્યો.અશ્વત્થામાએ છ બાણોથી અર્જુનની છાતી પર પ્રહાર કર્યો તે જોઈ,અર્જુને તેનું બાણ છેદી નાખીને સામે તીક્ષ્ણ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે અશ્વત્થામાએ બીજું ધનુષ્ય ગ્રહણ કર્યું અને નેવું બાણ મૂકીને અર્જુનને અને સિત્તેર બાણો મૂકીને કૃષ્ણને પણ વીંધ્યા.ક્રોધાતુર થયેલા અર્જુને ઘોર બાણો મૂકી,અશ્વત્થામાના કવચને તોડીને તેને લોહીલુહાણ કરી નાખ્યો.ને પછી અર્જુને 'આ બ્રાહ્મણ ગુરુપુત્ર મારે માન્ય છે' એવી બુદ્ધિથી તેના પર દયા કરી અને તેની સામે યુદ્ધ કરવું છોડી દીધું ને બીજાઓ સામે યુદ્ધ કરી સંહાર કરવા લાગ્યો.





