અધ્યાય-૯૧-દ્રોણાચાર્યની સામે અર્જુન
II संजय उवाच II दुःशासनबलं हत्वा सव्यसाची महारथः I सिन्धुराजं परिप्सन्वै द्रोणानिकमुपाद्रवत II १ II
સંજય બોલ્યો-આમ દુઃશાસનના સૈન્યનો સંહાર કરીને મહારથી અર્જુન સિંધુરાજની પાસે પહોંચવાની ઈચ્છાથી દ્રોણના સૈન્ય સામે ધસ્યો ને મોખરામાં ઉભેલા દ્રોણાચાર્ય સામે પહોંચીને,શ્રીકૃષ્ણની સંમતિથી બે હાથ જોડીને તેમને કહેવા લાગ્યો કે-
'હે બ્રહ્મન,મારુ કલ્યાણ થાય એમ આપ ચિંતવો અને મને 'સ્વસ્તિ' કહી આશીર્વાદ આપો.આપણી કૃપાથી હું આ દુર્ભેદ્ય સેનામાં પ્રવેશ કરવા ઈચ્છું છું.આપ મારા પિતા સમાન છો ને આ શ્રીકૃષ્ણ ને ધર્મરાજ સમાન પૂજ્ય છો,એ હું સત્ય કહું છું.આપે જેમ અશ્વત્થામાનું રક્ષણ કરવું જોઈએ તેમ મારું પણ સદા રક્ષણ કરવું જોઈએ.આજના રણમાં હું સિંધુરાજનો વધ કરવા ઈચ્છું છું આપ મારી આ પ્રતિજ્ઞાનું રક્ષણ કરો.'



