Jul 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-864

 

અધ્યાય-૧૬-સૈન્ય વર્ણન 


II संजय उवाच II ततो रजन्यां वयुष्टायां शब्दः समभवन्महान I क्रोश्तां भूमिपालानां युज्यतां युज्यतामिति II १ II

સંજયે કહ્યું-પછી,રાત્રિ પુરી થતાં જ 'તૈયાર થાઓ' એ પ્રમાણે બૂમ મારતા રાજાઓનો મોટો શબ્દ થયો.હે ભારત,દુંદુભીના ધ્વનિઓથી,ઘોડાઓના હણહણાટથી,હાથીઓની ચીસોથી,રથના ઘડઘડાટોથી અને યોદ્ધાઓની ગર્જનાઓથી ત્યાં સર્વ તરફ ઘોંઘાટ થઇ રહ્યો.બને પક્ષની સેનાઓ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ઉભી રહી ને સૂર્ય પ્રકાશમાં ઝળકી રહી.તે સર્વમાં તમારા પિતા ભીષ્મ પૂર્ણ ચંદ્રની જેમ શોભતા હતા.ત્યાં સેંકડો હાથીઓ,ઘોડાઓ,રથીઓ અને પાળાઓ,જાળની જેમ ફેલાઈ ગયા.

Jul 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-863

 

અધ્યાય-૧૫-દુર્યોધનની દુઃશાસનને આજ્ઞા 


II संजय उवाच II त्वद्युक्तोयमनुप्रश्नो महाराज यथार्हसि I न तु दुर्योधने दोषमिममासंक्तुमर्हसि II १ II

સંજયે કહ્યું-હે મહારાજ,આ તમારો પાછળનો પ્રશ્ન યોગ્ય છે ને તમને ઘટે તેવો છે,પરંતુ તમારે આ દોષ દુર્યોધન પર મુકવો યોગ્ય નથી કારણકે જે મનુષ્યને પોતાના દુશ્ચરિત્રથી નઠારું ફળ પ્રાપ્ત થાય તેણે તે પાપ બીજાના માથે નાખવું યોગ્ય નથી.નિષ્કપટ બુદ્ધિવાળા પાંડવોએ તમારી તરફ જોઈને અપકાર અનુભવ્યો અને વનમાં લાંબા કાળ સુધી સહન કર્યો છે.હવે હું રાજાઓના સંબંધમાં જે કંઈ નજરથી તથા યોગબળથી જોયું છે તે તમે સાંભળો.મનમાં શોક કરશો નહિ,કેમ કે આ પ્રમાણે થવાનું દૈવ પૂર્વથી જ નિર્માયેલું હતું.હું વ્યાસજીને નમસ્કાર કરું છું કે જેમની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ મળી છે.હવે હું યુદ્ધ વિસ્તારથી ક્રમથી કહું છું.

Jul 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-862

 

અધ્યાય-૧૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન-ભીષ્મ કેવી રીતે હણાયા?


II धृतराष्ट्र उवाच II कथं करुणामृषभो हतो भीष्मः शिखण्डिना I कथं रथात्स न्यपतत्पिता मे वासवोपमः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-કુરુકુળશ્રેષ્ઠ ભીષ્મ,શિખંડીના હાથે કેવી રીતે હણાયા?ઇન્દ્રસમાન પિતામહ રથમાંથી કેવી રીતે પડ્યા?

દેવતુલ્ય પરાક્રમી ભીષ્મથી રહિત થયેલા મારા યોદ્ધાઓની કેવી સ્થિતિ થઇ?તે જયારે હણાયા ત્યારે તારા મનની કેવી સ્થિતિ થઇ હતી? તેમને હણાયેલા સાંભળીને મારું મન મહાદુઃખમાં ડૂબી જાય છે.તે ભીષ્મ સાથે ને આગળ પાછળ તેમનું રક્ષણ કરતા કયા યોદ્ધાઓ ચાલતા હતા? શત્રુસેનાના કોણે તેમને ઘેરી લીધા હતા? તેં જે સર્વ જોયું તે મને કહે.

Jul 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-861

 

અધ્યાય-૧૩-ભીષ્મ પતનનું સંક્ષિપ્ત વર્ણન 


II वैशंपायन उवाच II अथ गावल्गणिर्विद्वान संमुगादेत्य भारत I प्रत्यक्षदशीं सर्वस्य भूतभव्यभविष्यवित् II १ II

વૈશંપાયને કહ્યું-'હે જન્મેજય,પછી,ભૂત,ભવિષ્ય તથા વર્તમાન જાણનાર અને સર્વ વાતને પ્રત્યક્ષ જોનાર,વિદ્વાન ગાવલ્ગણનો પુત્ર સંજય,એકાએક આવીને,વિચારમાં પડેલા ધૃતરાષ્ટ્રને,'પિતામહ ભીષ્મ હણાયા'-એ વાત દુઃખી થઇ કહેવા લાગ્યો'

સંજયે કહ્યું-'હે મહારાજ,હું સંજય આપને વંદન કરું છું.ભરતવંશીઓના શ્રેષ્ઠ શાંતનુપુત્ર ભીષ્મ હણાયા.તે આજે બાણ શય્યા પર સૂતા છે.જેના પરાક્રમ પાર આશ્રય કરીને તમારો પુત્ર દ્યુત રમ્યો હતો,તે ભીષ્મ સંગ્રામમાં શિખંડીથી હણાઇને પડ્યા છે.જે મહારથીએ કાશીમાં એક રથના આશ્રય વડે સર્વ રાજાઓને હરાવ્યા હતા અને જેમણે પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું,પણ જે પરશુરામથી હણાયા નહોતા તેમને આજે શિખંડીએ હણ્યા છે.

Jul 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-860

 

અધ્યાય-૧૨-ઉત્તરદ્વીપ વગેરે સંસ્થાનોનું વર્ણન 


II संजय उवाच II उत्तरेषु च कौरव्य द्वीपेषु श्रूयते कथा I एवं तत्र महाराज बृवतश्च निबोध मे II १ II

સંજયે કહ્યું-હે કૌરવ્ય,હવે ઉત્તરમાં આવેલા દ્વીપો સંબંધી કથા કહું છું.એ ઉત્તર દિશામાં ઘૃતસમુદ્ર,દધિમંડોદક સમુદ્ર,

સુરોદસમુદ્ર અને ચોથો જળસમુદ્ર છે.એ સર્વ દ્વીપો ઉત્તરોત્તર બમણા બમણા પ્રમાણના છે.મધ્યમ દ્વીપમાં ગૌર નામનો મોટો પર્વત છે.પશ્ચિમ દ્વીપમાં નારાયણનો સખાકૃષ્ણ નામનો પર્વત છે.કેશવ પોતે ત્યાં દિવ્ય રત્નોનું રક્ષણ કરે છે અને પ્રસન્ન રહીને ત્યાંની પ્રજાને સુખ આપે છે.કુશદ્વીપમાં એક દર્ભનું મોટું ધૂંગુ છે.શાલ્મલી દ્વીપમાં એક શીમળાનું ઝાડ છે.

Jul 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-859

 

ભૂમિ પર્વ 

અધ્યાય-૧૧-શાકદ્વીપનું વર્ણન 

II धृतराष्ट्र उवाच II जंबुखंडस्त्वया प्रोक्तो यथावदिह संजय I विष्कम्भमस्य प्रब्रूहि परिमाणं तु तत्वतः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,તેં મને જંબુખંડનું યથાર્થ વર્ણન કહ્યું,હવે એ ખંડનું માપ અને વિસ્તાર મને કહે.

વળી,શાકદ્વીપ,કુશદ્વીપ,શાલ્મલિદ્વીપ,ક્રૌંન્ચદ્વીપ,રાહુ,ચંદ્ર,અને સૂર્ય એ સર્વનું યથાર્થ વર્ણન મને કહે.

સંજયે કહ્યું-હે રાજા,જંબુપર્વતનો વિસ્તાર પુરા અઢાર હજાર ને છસો યોજનનો છે.અને ક્ષાર સમુદ્રનો વિસ્તાર 

તેનાથી બમણો છે.તેમાં અનેક દેશો રહેલા છે તથા તે મણિ અને વૈડૂર્યથી સંપન્ન છે.એ સમુદ્ર મંડળાકાર છે.