Jul 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-866

 

અધ્યાય-૧૮-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II ततो मुहूर्तात्तुमुल: शब्दो ह्रदयकंपनः I अश्रूयत महाराज योधानां प्रयुयुत्सताम II १ II

સંજયે કહ્યું-હે મહારાજ,તે પછી બે ઘડી થતાંજ યુદ્ધ કરવાની તીવ્ર ઈચ્છાવાળા યોદ્ધાઓનો હૃદયને કંપાવી નાખે તેવો તુમુલ શબ્દ સંભળાવા લાગ્યો.શંખો-દુંદુભીઓના ધ્વનિઓથી,હાથીઓના ચિત્કારોથી અને રથોના ઘડઘડાટોથી પૃથ્વી ફાટી જતી હોય એમ જણાવા લાગ્યું.ઘોડાઓના હણહણાટો ને યોદ્ધાઓની ગર્જનાઓથી એક ક્ષણમાં જ પૃથ્વી ને આકાશ ભરાઈ ગયાં.

પરસ્પર મળેલી સેનાઓ કંપવા લાગી.જાતજાતનાં આયુધો અને ધનુષ્યોવાળા મહાધનુર્ધારી કુરુઓના શ્રેષ્ઠ યોદ્ધાઓ સૈન્યના મોખરા પર શોભતા હતા.

Jul 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-865

 

અધ્યાય-૧૭-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II यथा स भगवान्व्यासः कृष्णद्वैपायनोब्रवीत I तथैव सहिता: सर्वे समाजग्मुर्महिक्षित: II १ II

સંજયે કહ્યું-ભગવાન કૃષ્ણદ્વૈપાયન વ્યાસે જે પ્રમાણે કહ્યું હતું,તે પ્રમાણે સર્વ રાજાઓ એકઠા મળીને ત્યાં રણભૂમિ પર આવ્યા,તે દિવસે ચંદ્ર સહિત સાત ગ્રહો બળતા હોય તેવા લાલ જણાતા હતા તથા આકાશમાં એકબીજા પર ગતિ કરતા હતા.

ઉદય સમયે સૂર્ય બે ભાગ થઇ ગયેલા હોય તેવો જણાતો હતો અને પુષ્કળ જ્વાળાઓ કાઢતો ઉદય પામ્યો હતો.શિયાળો અને કાગડાઓ.માંસ અને રુધિર મળવાની લાલસાથી,દિશાઓમાં શબ્દો કરતા હતા.યુદ્ધ શરુ થયું ત્યારેથી હંમેશાં પિતામહ ભીષ્મ અને દ્રોણ,પ્રાતઃકાળમાં ઉઠીને 'પાંડુપુત્રોનો જય થાઓ'એમ એકાગ્ર મનથી કહી,પછી તે બંને શત્રુઓને દમનારા,તમારી સાથે કરેલા ઠરાવ મુજબ,તમારા માટે યુદ્ધ કરતા હતા.

Jul 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-864

 

અધ્યાય-૧૬-સૈન્ય વર્ણન 


II संजय उवाच II ततो रजन्यां वयुष्टायां शब्दः समभवन्महान I क्रोश्तां भूमिपालानां युज्यतां युज्यतामिति II १ II

સંજયે કહ્યું-પછી,રાત્રિ પુરી થતાં જ 'તૈયાર થાઓ' એ પ્રમાણે બૂમ મારતા રાજાઓનો મોટો શબ્દ થયો.હે ભારત,દુંદુભીના ધ્વનિઓથી,ઘોડાઓના હણહણાટથી,હાથીઓની ચીસોથી,રથના ઘડઘડાટોથી અને યોદ્ધાઓની ગર્જનાઓથી ત્યાં સર્વ તરફ ઘોંઘાટ થઇ રહ્યો.બને પક્ષની સેનાઓ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ઉભી રહી ને સૂર્ય પ્રકાશમાં ઝળકી રહી.તે સર્વમાં તમારા પિતા ભીષ્મ પૂર્ણ ચંદ્રની જેમ શોભતા હતા.ત્યાં સેંકડો હાથીઓ,ઘોડાઓ,રથીઓ અને પાળાઓ,જાળની જેમ ફેલાઈ ગયા.

Jul 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-863

 

અધ્યાય-૧૫-દુર્યોધનની દુઃશાસનને આજ્ઞા 


II संजय उवाच II त्वद्युक्तोयमनुप्रश्नो महाराज यथार्हसि I न तु दुर्योधने दोषमिममासंक्तुमर्हसि II १ II

સંજયે કહ્યું-હે મહારાજ,આ તમારો પાછળનો પ્રશ્ન યોગ્ય છે ને તમને ઘટે તેવો છે,પરંતુ તમારે આ દોષ દુર્યોધન પર મુકવો યોગ્ય નથી કારણકે જે મનુષ્યને પોતાના દુશ્ચરિત્રથી નઠારું ફળ પ્રાપ્ત થાય તેણે તે પાપ બીજાના માથે નાખવું યોગ્ય નથી.નિષ્કપટ બુદ્ધિવાળા પાંડવોએ તમારી તરફ જોઈને અપકાર અનુભવ્યો અને વનમાં લાંબા કાળ સુધી સહન કર્યો છે.હવે હું રાજાઓના સંબંધમાં જે કંઈ નજરથી તથા યોગબળથી જોયું છે તે તમે સાંભળો.મનમાં શોક કરશો નહિ,કેમ કે આ પ્રમાણે થવાનું દૈવ પૂર્વથી જ નિર્માયેલું હતું.હું વ્યાસજીને નમસ્કાર કરું છું કે જેમની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ મળી છે.હવે હું યુદ્ધ વિસ્તારથી ક્રમથી કહું છું.

Jul 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-862

 

અધ્યાય-૧૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન-ભીષ્મ કેવી રીતે હણાયા?


II धृतराष्ट्र उवाच II कथं करुणामृषभो हतो भीष्मः शिखण्डिना I कथं रथात्स न्यपतत्पिता मे वासवोपमः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-કુરુકુળશ્રેષ્ઠ ભીષ્મ,શિખંડીના હાથે કેવી રીતે હણાયા?ઇન્દ્રસમાન પિતામહ રથમાંથી કેવી રીતે પડ્યા?

દેવતુલ્ય પરાક્રમી ભીષ્મથી રહિત થયેલા મારા યોદ્ધાઓની કેવી સ્થિતિ થઇ?તે જયારે હણાયા ત્યારે તારા મનની કેવી સ્થિતિ થઇ હતી? તેમને હણાયેલા સાંભળીને મારું મન મહાદુઃખમાં ડૂબી જાય છે.તે ભીષ્મ સાથે ને આગળ પાછળ તેમનું રક્ષણ કરતા કયા યોદ્ધાઓ ચાલતા હતા? શત્રુસેનાના કોણે તેમને ઘેરી લીધા હતા? તેં જે સર્વ જોયું તે મને કહે.

Jul 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-861

 

અધ્યાય-૧૩-ભીષ્મ પતનનું સંક્ષિપ્ત વર્ણન 


II वैशंपायन उवाच II अथ गावल्गणिर्विद्वान संमुगादेत्य भारत I प्रत्यक्षदशीं सर्वस्य भूतभव्यभविष्यवित् II १ II

વૈશંપાયને કહ્યું-'હે જન્મેજય,પછી,ભૂત,ભવિષ્ય તથા વર્તમાન જાણનાર અને સર્વ વાતને પ્રત્યક્ષ જોનાર,વિદ્વાન ગાવલ્ગણનો પુત્ર સંજય,એકાએક આવીને,વિચારમાં પડેલા ધૃતરાષ્ટ્રને,'પિતામહ ભીષ્મ હણાયા'-એ વાત દુઃખી થઇ કહેવા લાગ્યો'

સંજયે કહ્યું-'હે મહારાજ,હું સંજય આપને વંદન કરું છું.ભરતવંશીઓના શ્રેષ્ઠ શાંતનુપુત્ર ભીષ્મ હણાયા.તે આજે બાણ શય્યા પર સૂતા છે.જેના પરાક્રમ પાર આશ્રય કરીને તમારો પુત્ર દ્યુત રમ્યો હતો,તે ભીષ્મ સંગ્રામમાં શિખંડીથી હણાઇને પડ્યા છે.જે મહારથીએ કાશીમાં એક રથના આશ્રય વડે સર્વ રાજાઓને હરાવ્યા હતા અને જેમણે પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું,પણ જે પરશુરામથી હણાયા નહોતા તેમને આજે શિખંડીએ હણ્યા છે.