Dec 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1004

 

અધ્યાય-૧૨૦-દશમો દિવસ (ચાલુ) અર્જુને ભીષ્મને આપેલું ઉશીકું 


॥ धृतराष्ट्र उवाच ॥ कथमासस्तदा योधा हिन भीष्मेण संजय I बलिना देवकल्पेन गुर्वर्थे ब्रह्मचारिणा ॥१॥

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પોતાના પિતા માટે બ્રહ્મચારી થયેલા,દેવ સરખા બળવાન એવા એ ભીષ્મ વિનાના થયેલા મારા યોદ્ધાઓની શી દશા થઇ? ભીષ્મે 'આ સ્ત્રી છે' એમ માનીને જયારે શિખંડી પર પ્રહાર ન કર્યો ત્યારે જ મેં માની લીધું કે કૌરવો,પાંડવોના હાથે માર્યા ગયા.અરેરે,અફસોસની વાત છે કે,આથી વધારે હું બીજું કયું દુઃખ માનું કે દુષ્ટ બુદ્ધિવાળો હું આજે મારા પિતાને મરણ પામેલા સાંભળું છું.અવશ્ય મારું હૃદય કેવળ લોખંડનું જ બનેલું છે કારણકે આજે મારા પિતા ભીષ્મને મુએલા સાંભળીને તે સો કકડા થઈને ચિરાઈ જતું નથી.મારા પિતા દેવવ્રત,રણમાં મરણ પામ્યા,એ વિચારને મનમાં લાવતાં મને એટલું બધું દુઃખ થાય છે કે જે હું સહન કરી શકતો નથી.અરેરે,જે ભીષ્મને પૂર્વે પરશુરામ પોતાના દિવ્ય અસ્ત્રોથી મારી શક્યા  ન હતા તેમને આજે પાંચાલપુત્ર શિખંડીએ મારી નાખ્યા !!(ઘણું જ આશ્ચર્ય ને અફસોસ)

Dec 8, 2025

ભાગવત રહસ્ય-૨૦-Bhgavat Rahasya-20

તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુન્ધુલી સાથે રહેતો હતો.આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુન્ધુલી સ્વભાવથી ક્રૂર,પારકી પંચાત કરવાવાળી અને ઝગડાળુ હતી.આત્મદેવ નિઃસંતાન હતા. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા,પણ સફળતા મળી નહિ,એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો, અને વન પ્રતિ પ્રયાણ કર્યું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1003

 

અધ્યાય-૧૧૯-દશમો દિવસ (ચાલુ) ભીષ્મ પડ્યા 


॥ संजय उवाच ॥ एवं ते पांडवा सर्वे पुरस्कृत्य शिखंडीनम् I विव्यधुः समरे भीष्मं परिवार्य समंततः ॥१॥

સંજયે કહ્યું-એ પ્રમાણે સર્વ પાંડવ યોદ્ધાઓ શિખંડીને આગળ કરીને,ચારે બાજુથી ભીષ્મને ઘેરી લઈને બાણોથી વીંધતા હતા,ત્યારે ભીષ્મનું બખ્તર અનેક સ્થળેથી ભેદાઈ ગયું હતું.તેમનાં મર્મસ્થાનો ભેદાઈ જતાં હતા છતાં પણ તે વ્યથા પામ્યા ન હતા.ત્યાર પછી,દ્રુપદરાજ અને ધૃષ્ટકેતુને પણ નહિ ગણકારીને પિતામહ,પાંડવ સેનાના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા.ત્યારે સાત્યકિ,ભીમસેન,અર્જુન,દ્રુપદ આદિ મહારથીઓએ તેમને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા.પણ સામે તે મહારથીઓને અસંખ્ય બાણો છોડીને ભીષ્મ તેમને પણ પીડવા લાગ્યા હતા.

Dec 7, 2025

ભાગવત રહસ્ય-૧૯-Bhgavat Rahasya-19

ભાગવત –એ -નારાયણનું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામમાં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું-એમ એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવતનો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1002

 

અધ્યાય-૧૧૮-દશમો દિવસ (ચાલુ) ભીષ્મનું છેવટનું અદભુત કર્મ 


॥ संजय उवाच ॥ समं व्युढेष्वनिकेषु भुयिष्ठेवनिवर्तिनः I ब्रह्मलोकपराः सर्वे समपद्यंत भारत ॥१॥

સંજયે કહ્યું-હે ભારત,બધા સૈન્યના યોદ્ધાઓ,લગભગ બ્રહ્મપરાયણ થઈ,પછી પાની કરવી નહિ તેવા વિચારના થઇ ગયા હતા.અર્થાંત 'મારવું કે મરવું' એવા નિશ્ચય પર આવી ગયા હતા.એ સંકુલ યુદ્ધમાં એક સૈન્ય બીજા સૈન્ય સાથે વ્યવસ્થિત થઈને લડતું નહોતું.રથીઓ,ઘોડાઓ,હાથીઓ ને પાળાઓ અન્યોન્ય સામે વ્યવસ્થા પૂર્વક લડતા નહોતા,પણ ઉન્મત્તવત બની જઈને યુદ્ધ કરતા હતા.બંને સેનામાં રૌદ્ર સેળભેળ(મિશ્ર)ભાવ થઇ ગયો હતો.ઉન્મત્તતાને લીધે મહાઘોર નાશ થઇ રહ્યો હતો. 

Dec 6, 2025

ભાગવત રહસ્ય-૧૮-Bhgavat Rahasya-18

ભાગવત કથાનું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે.
શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે.