અધ્યાય-૧૧૪-ધૃતરાષ્ટ્રના શોકોદગારો અને કૃતવર્માનું પરાક્રમ
II धृतराष्ट्र उवाच II एवं बहुगुणं सैन्यं एवं प्रविचितं बलम् I व्यूढमेवं यथान्यायं एवं बहु च संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આપણું સૈન્ય,ઘણા ગુણોવાળું,ઘણા યોદ્ધાવાળું,ન્યાય પ્રમાણે વ્યૂહાકારે ગોઠવેલું અને સંખ્યામાં ઘણું મોટું હતું.આપણે તેનું નિત્ય સન્માન કરતા હતા,તેથી આપણી ઈચ્છાને અનુસારનારું રહેતું હતું.તે પ્રૌઢ હતું,અતિ અદભૂત આકારવાળું હતું અને પ્રથમથી જ તેનું પરાક્રમ દેખાઈ આવતું હતું.આપણા સૈન્યમાં કોઈ વૃદ્ધ,બાળક,કૃશ કે અતિપુષ્ટ નહોતો.તે સૌ અતિ ચપળ,સદાચારી,સરખી ઊંચાઈના,ને તેમના અવયવો અતિ ગાઢ ને બળવાન હતા.એ સર્વ સૈનિકોના શરીરો કવચોથી ઢંકાયેલા ને શસ્ત્રોથી સજાવેલા હતા.હાથીઓ પર સવારીમાં,અનેક જાતના અસ્ત્રોમાં તેમજ રથોમાં તે સર્વની સારી રીતે પરીક્ષા કરીને જ તેમને યોગ્ય વેતન આપવામાં આવતાં હતાં.





