Apr 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1111

 

અધ્યાય-૧૧૫-જલસંઘનો વધ 


 II संजय उवाच II शृण्यैकमना राजन यन्मां त्वं परिपृच्छसि I द्राव्यमाणे बले तस्मिन् हार्दिक्येन महात्मना II १ II

સંજય બોલ્યો-હે રાજન,કૃતવર્માએ પાંડવ સૈન્યને હાંકી કાઢ્યું ત્યારે તેમનું મોં લજ્જાથી નીચું પડી ગયું,અને તમારા પક્ષના યોદ્ધાઓ હર્ષમાં આવી ગયા.તે સમયે પાંડવ યોદ્ધાઓ અગાધ સંકટમાં પડી ગયા હતા ને પોતાનો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખતા હતા,તે સમયે તમારા પક્ષના યોદ્ધાઓની કિકિયારીઓ સાંભળીને સાત્યકિ કૃતવર્મા સામે ચઢી આવ્યો.બંનેનું ભયંકર યુદ્ધ શરુ થયું.સાત્યકિએ કૃતવર્માનું ધનુષ્ય કાપી નાખ્યું,તેના ચાર ઘોડાઓને મારી નાખી,તેના સારથિ અને પૃષ્ઠરક્ષકોને વીંધી નાખ્યા ને તેની સેનાને પણ પીડિત કરી નાખી તેના સૈન્યમાં ભંગાણ પાડ્યું.આમ કૃતવર્માને રથરહિત કરીને સાત્યકિ આગળ વધ્યો.

Apr 20, 2026

ભાગવત રહસ્ય-૧૨૮-Bhgavat Rahasya-128

ધ્રુવજી –નારદજીને પૂછે છે-કે-ત્યાં જઈને હું શું કરું ? મને કાંઇ આવડતું નથી. પરમાત્માની આરાધના કેવી રીતે કરવી ? નારદજી કહે છે-સવારે બ્રાહ્મ મુહુર્તમાં (સવારના ૪ વાગે) ઉઠજે. ધ્યાન કરતા પહેલાં ઠાકોરજીની માનસી સેવા કરજે.માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪ થી ૫ સુધીનો છે.માનસી સેવામાં ખાલી મનની જ જરૂર છે.(પ્રત્યક્ષ સેવા માં અનેક વસ્તુઓની જરૂર પડે છે.)માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલાં કરવી જોઈએ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1110

 

અધ્યાય-૧૧૪-ધૃતરાષ્ટ્રના શોકોદગારો અને કૃતવર્માનું પરાક્રમ


II धृतराष्ट्र उवाच II एवं बहुगुणं सैन्यं एवं प्रविचितं बलम् I व्यूढमेवं यथान्यायं एवं बहु च संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આપણું સૈન્ય,ઘણા ગુણોવાળું,ઘણા યોદ્ધાવાળું,ન્યાય પ્રમાણે વ્યૂહાકારે ગોઠવેલું અને સંખ્યામાં ઘણું મોટું હતું.આપણે તેનું નિત્ય સન્માન કરતા હતા,તેથી આપણી ઈચ્છાને અનુસારનારું રહેતું હતું.તે પ્રૌઢ હતું,અતિ અદભૂત આકારવાળું હતું અને પ્રથમથી જ તેનું પરાક્રમ દેખાઈ આવતું હતું.આપણા સૈન્યમાં કોઈ વૃદ્ધ,બાળક,કૃશ કે અતિપુષ્ટ નહોતો.તે સૌ અતિ ચપળ,સદાચારી,સરખી ઊંચાઈના,ને તેમના અવયવો અતિ ગાઢ ને બળવાન હતા.એ સર્વ સૈનિકોના શરીરો કવચોથી ઢંકાયેલા ને શસ્ત્રોથી સજાવેલા હતા.હાથીઓ પર સવારીમાં,અનેક જાતના અસ્ત્રોમાં તેમજ રથોમાં તે સર્વની સારી રીતે પરીક્ષા કરીને જ તેમને યોગ્ય વેતન આપવામાં આવતાં હતાં.

Apr 19, 2026

ભાગવત રહસ્ય-૧૨૭-Bhgavat Rahasya-127

બે માતાઓના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ વર્ષનો ધ્રુવ વનમાં જાય છે.
જરા વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ?
ધ્રુવ વિચાર કરતા જાય છે-'વનમાં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને ?
પણ ના-ના- હું એકલો નથી, માએ મને કહ્યું છે-કે નારાયણ મારી સાથે છે.'

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1109

 

અધ્યાય-૧૧૩-સાત્યકિને કૃતવર્માનો ભેટો 


II संजय उवाच II प्रयातै तव सैन्यै तु युयुधानै युयुत्सया I धर्मराजो महाराज सेनानीकेन संवृतः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,યુદ્ધ કરવાની ઈચ્છાથી સાત્યકિ જયારે તમારા સૈન્ય સામે પ્રયાણ કરી ગયો,ત્યારે સાત્યકિની પાછળ પડેલા દ્રોણાચાર્યના રથને પહોંચી વાળવા ધર્મરાજ પોતાના સૈન્યથી વીંટાઇને ચાલી નીકળ્યા હતા.તે વેળા,ધૃષ્ટદ્યુમ્ન તથા રાજા વસુદાન પાંડવોના સૈન્યમાં મોટો ઘાંટો પાડીને કહેવા લાગ્યા કે-'હે વીર યોદ્ધાઓ,જલ્દી દોડી આવો અને શત્રુઓ પર પ્રહાર કરો,કે જેથી સાત્યકિ સુખેથી શત્રુસેનામાં દાખલ થઇ જાય.'તે સમયે સાત્યકિના રથ સામે મહાન શબ્દ થઇ રહ્યો હતો,પણ સાત્યકિએ શત્રુસેનાને સેંકડો સ્થળેથી તોડી નાખી એટલે તે વિખરાઈ જઈને આમતેમ દોડવા લાગી હતી.

Apr 18, 2026

ભાગવત રહસ્ય-૧૨૬-Bhgavat Rahasya-126

સુનીતિએ દુઃખના વેગને દબાવ્યો છે-ધીરજ ધારણ કરી બોલ્યાં છે-કે-
બેટા,તારી ઓરમાન માએ તને શું ખોટું કહ્યું છે ? તને જે બોધ કર્યો છે તે સારો છે-હું પણ તને એ જ કહું છું-કે-ભીખ માગવી જ હોય તો કોઈ મનુષ્ય પાસે માગવી નહિ, એક ભિખારી પોતે જ બીજા ભિખારીને કઈ રીતે ભીખ આપી શકવાનો ? શ્રીકૃષ્ણ સિવાય આખું જગત ભિખારી છે.(દાતા એક રામ ભિખારી સારી દુનિયા) ભીખ માગવી જ હોય તો ભગવાન પાસે ભીખ માગવી.