અધ્યાય-૧૩૬-ભીમસેનનું યુદ્ધ
II संजय उवाच II तवात्मजांस्तु पतितान् द्रष्ट्वा कर्णः प्रतापवान् I क्रोधेन महताविष्टो निर्विण्णो भुत्सजीवितान II १ II
સંજય બોલ્યો-તમારા પુત્રોને એ રીતે રણમાં પડેલા જોઈને કર્ણ મહાન ક્રોધાવેશમાં આવી ગયો અને પોતાના જીવિતથી લગભગ બેપરવા થઇ ગયો.તે સમયે કર્ણ પોતાના આત્માને એક અપરાધી તરીકે માનવા લાગ્યો હતો,કેમકે પોતાની સમક્ષ જ ભીમસેને તમારા પુત્રોને રણમાં રોળી નાખ્યા હતા.સામે પણ ક્રોધાયમાન થયેલા ભીમસેને,કર્ણ સાથેના પોતાના પૂર્વના વેરને યાદ કરીને કર્ણ પર તીક્ષ્ણ બાણો છોડવા માંડ્યા.કર્ણે સામે ભીમસેનને પ્રથમ પાંચ બાણો વડે વીંધી નાખ્યો,ને પુનઃ સિત્તેર બાણોનો પ્રહાર કર્યો.પણ ભીમસેને તે બાણોને ગણકાર્યા નહિ,ને સો બાણો મૂકીને તે કર્ણને માર માર્યો.





