અધ્યાય-૩-સંક્ષેપમાં કર્ણવધ કથન
II संजय उवाच II हते द्रोणे महेष्वासे तव पुत्रा महारथाः I वभुवरस्वस्थमुखा विषण्णा गतचेतसः II १ II
સંજય બોલ્યો-જયારે મહાધનુર્ધર દ્રોણાચાર્ય મરાયા,ત્યારે તમારા મહારથી પુત્રો દીનમુખા,ખિન્ન અને બેભાન જેવા થઇ ગયા.સર્વ શસ્ત્રધારીઓ મુખને નીચું નમાવી જોઈ રહ્યા હતા અને શોકથી આતુર થઇ ગયા હતા,તેઓ પરસ્પર વાતચીત પણ કરી શકતા નહોતા.તે બધાને ગભરાટમાં પડી ગયેલા જોઈને તમારાં સૈન્યો દુઃખથી ત્રાસ પામીને ઊંચે આકાશ તરફ જ દ્રષ્ટિ કરવા લાગ્યાં.(અર્થાંત તેઓ બધા માનવા લાગ્યા કે હવે તો આપણે પણ ઉર્ધ્વગમન કરવાનું જ રહ્યું છે) તેમના હાથમાંથી શસ્ત્રો આપોઆપ નીચે પડી જવા લાગ્યાં.આમ સ્તબ્ધ થયેલા સૈન્યને જોઈને દુર્યોધન તેમને કહેવા લાગ્યો કે-




