અધ્યાય-૧૫-અશ્વત્થામા અને ભીમસેનનું યુદ્ધ
II संजय उवाच II भीमसेनं ततो द्रौणि राजन विव्याध पत्रिणा I परया त्वरया युक्तो दर्शयन्नखलाधवम II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,પછી,દ્રોણપુત્ર અશ્વત્થામાએ ઘણી ઉતાવળ કરીને ભીમસેનને એક બાણ વડે વીંધી નાખી પોતાની અસ્ત્રકુશળતા દર્શાવવા માંડી.વળી,મર્મને જાણનારા તે અશ્વત્થામાએ ઝપાટાબંધ નેવું તીક્ષ્ણ બાણો મૂકીને ભીમસેનના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો ને ઉપરાઉપરી બાણો મૂકીને ભીમસેનને રથમાં જ ઢાંકી દીધો.સામે ભીમસેને એક હજાર બાણો મૂકીને અશ્વત્થામાને છાઈ દઈને મોટો સિંહનાદ કર્યો.પરંતુ અશ્વત્થામાએ તે બાણોને અટકાવી મંદ હાસ્ય કરીને ભીમસેનના લલાટમાં એક નારાચ બાણનો પ્રહાર કર્યો.





