Apr 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-498

 

અધ્યાય-૨૧૬-પૂર્વજન્મના શાપનું વૃતાંત 


II उवाच II एवं शप्तोहमृपिणा तदा द्विजवरोत्तम I अभिप्रसादयमृपिं गिरा त्राहीति मां तदा II १ II

વ્યાધ બોલ્યો-હે શ્રેષ્ઠ દ્વિજવર,ઋષિએ મને આમ શાપ આપ્યો ત્યારે મેં તેમને પ્રસન્ન કરવા કહ્યું કે-

'હે મુનિ,મારુ રક્ષણ કરો.મારાથી અજાણતાં આમ થઇ ગયું છે,તમે ક્ષમા આપો ને પ્રસન્ન થાઓ'

ઋષિ બોલ્યા-મારો આપેલો શાપ મિથ્યા નહિ જ થાય છતાં હું તારા પર કૃપા કરીશ,શૂદ્રયોનિમાં જન્મવા 

છતાં તું ધર્મજ્ઞ થશે,માતપિતાની સેવા કરશે,ને તેને પ્રતાપે તું સિદ્ધિ અને મહત્તા પામશે.

તને પૂર્વજન્મની સ્મૃતિ રહેશે,અને શાપનો અંત આવશે એટલે તું ફરીથી બ્રાહ્મણ થશે'

પછી,મેં તેમના શરીરમાંથી બાણ ખેંચી કાઢ્યું ને ત્યાંથી આશ્રમમાં લઇ જઈને સુશ્રુષા કરી એટલે તેમના 

પ્રાણ બચી ગયા.આ મારુ પૂર્વજન્મનું વૃતાંત કહ્યું.હવે મારે થોડા જ સમયમાં સ્વર્ગે જવાનું થશે.(8)

Apr 25, 2024

હાજરી-By અનિલ શુક્લ

 

ભીની મહેંક ને લઈને,જે વહી જતો હતો,
આવી બારણે, જે ખટખટાવી જતો હતો,

ખોલી બારણું, જોઉં છું તો નિશાન છે ભીનાં,
એ જ નિશાન ભીનાં ચરણનાં,મૂકી જાતો હતો.

સૂંઘી વળ્યો,શોધતો હતો તેની હાજરીને,તો,
બારીની તિરાડે,સિસકારી નાદ-તે કરી જાતો.

દેખાય નહિ,પણ તેની મહેંક છે અને નાદ છે,
હાજર થઈને  તે હૃદયને ગદગદિત કરી જાતો.
અનિલ
૧૫ જુલાઈ,૨૦૧૬

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-497

 

અધ્યાય-૨૧૪-ધર્મવ્યાધનાં માતપિતા 


II मार्कण्डेय उवाच II एवं संकथिते कृत्सने मोक्षधर्मे युधिष्ठिर I दढप्रीतमना विप्रो धर्मव्याधमुवाच ह् II १ II

માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે આ પ્રમાણે મોક્ષધર્મ કહ્યો,ત્યારે અત્યંત પ્રસન્નમન થયેલા વિપ્રે 

તેને કહ્યું કે-'તમે આ જે કહ્યું તે બધું ન્યાયયુક્ત છે.આ લોકમાં ધર્મસંબંધમાં તમને કશું અજાણ્યું નથી'

વ્યાધ બોલ્યો-'હે દ્વિજોત્તમ,તમે મારા પ્રત્યક્ષ ધર્મને જુઓ,જેને પ્રતાપે હું આ સિદ્ધિ પામ્યો છું.

તમે ઘરની અંદર આવી મારા માતપિતાને જુઓ' ત્યારે તે બ્રાહ્મણ વ્યાધના ઘરમાં ગયો,ત્યાં સફેદ વસ્ત્રો પહેરેલા વ્યાઘનાં માતપિતા ભોજન કરીને,સંતોષથી આસન પર વિરાજ્યા હતા.ધર્મવ્યાધે તેમને વંદન કર્યા.માતપિતાએ આશીર્વાદ આપ્યા.ને બોલ્યા કે-ધર્મ તારું રક્ષણ કરો,અમે તારા આચરણથી પ્રસન્ન છીએ,તને દીર્ઘાયુષ મળો.જેમ,જમદગ્નિપુત્ર પરશુરામે પોતાનાં વૃદ્ધ માતપિતાની સેવા કરી હતી,તેમ તું પણ અમારી સેવા કરે છે'

Apr 24, 2024

અક્ષરો-By અનિલ શુક્લ


ગણગણાટ,જગતનો,તરંગો બની વહી જતો હતો,
પાસ આવી તે કહે ઘણું,ને,ભાષણે ય બહુ દીધુ હતું.

પણ,ચુપકીથી પાસે આવી 'એ' કાનમાં કંઈ કહી ગયો,
શું કહ્યું તેણે ? તો શું કહું? મૌન અપનાવી લીધું હતું.

હવે ઝાલીને હાથ 'તે' લખાવે છે કંઇક,લખી લીધું,
આવશે 'એ'ને કહેલું,અહીં,અક્ષરોથી શણગારી લખું.

અનિલ
૧૬ જુલાઈ ૨૦૧૬ 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-496

 

અધ્યાય-૨૧૩-અધ્યાત્મવિચાર 


II ब्राह्मण उवाच II [पार्थिवं धातुमासाद्य शारिरोग्निः कथं भवेत् I अवकाशविशेषण कथं वर्तयतेनिल II १ II

બ્રાહ્મણ બોલ્યો-વિજ્ઞાન (આત્મા)નામની અગ્નિમય ધાતુ,ત્વચા આદિ પાર્થિવ ધાતુને પામીને કેમ શરીરાભિમાની થાય છે? વળી,વાયુ,ભિન્ન ભિન્ન નાડીમાર્ગોનો આશ્રય કરીને શરીરને કેવી રીતે ચેષ્ટિત (ક્રિયાશીલ) કરે છે?

વ્યાધ બોલ્યો-પ્રકાશ(અગ્નિ)મય વિજ્ઞાનાત્મા,ચિદાત્મા (પરમાત્મા)નો આશ્રય કરીને શરીરને ચેતનવાળું કરે છે.

પ્રાણ(શક્તિ),એ ચિદાત્મા ને વિજ્ઞાનાત્મા કરી ક્રિયા કરે છે.ભૂત,ભવિષ્ય ને વર્તમાન એ સૌ પ્રાણના આધારે છે.

તે પ્રાણ જ સર્વ ભૂતોનો કાર્યકારણરૂપ આત્મા છે,તે જ સંતાન પુરુષ છે,તે જ મહત્તત્વ,બુદ્ધિ,અહંકાર ને ભૂતોના

શબ્દ-આદિ વિષયો છે.આમ,તે પ્રાણથી જ શરીરનું અંદર ને બહાર પરિપાલન થાય છે.

પછી,એ પ્રાણ,સમાન નામના વાયુભાવે જુદીજુદી ગતિનો આશ્રય કરે છે (6)

Apr 23, 2024

પરમ-પદ-By અનિલ શુક્લ

 

અનુભવ્યાં દૃશ્યો અનેક,ને જોયા રંગ પણ જગતના અનેક,
સમયનાં પડ ચડી ગયા હતા  ને રંગ પણ જામ્યા 'તા અનેક.

હસ્યું હતું હૃદય,એ સુખની પળે ને રડ્યું યે હતું દુઃખની પળે,
ખીલી હતી લતા કુસુમથી,સુકાઈ ને તે હવે દેખાય ના,ખરે.

ના જાણે કેટલા અવતાર ધરી લીધા એક હૃદયે,હૃદય ધરી,
વિચારતાં તે વિચારની,શું કહું? શરમ હવે આવે છે ઘણી.

પડી શિલા વિવેકની,તૂટ્યા સમયના પડો ને રંગ ના થરો,
ખીલી ઉઠ્યું છે ચમન,થયો સુગંધિત,પવન,હવે,ખરે ખરો.

શાંત,શુદ્ધ,નાદ-મય,થયું હૃદય,તો શાને મરણથી ડરવું?
વરવું પરમ-પદને જ છે,તો જગતનું ધ્યાન હવે શું કરવું?

અનિલ
૨૩ જુલાઈ,૨૦૧૬

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-495

 

અધ્યાય-૨૧૧-પંચમહાભૂત અને ઇન્દ્રિયનિગ્રહ 


II मार्कण्डेय उवाच II एवमुक्तः स विप्रस्तु धर्मव्याधेन भारत I कथामकथयद भूयो मनसः प्रीतिवर्धनिम् II १ II

માર્કંડેય બોલ્યા-હે ભારત,ધર્મવ્યાધે તે વિપ્રને આમ કહ્યું ત્યારે તેણે મનની પ્રીતિ વધારનારી કથા 

ફરી પૂછતાં પૂછ્યું કે-'તમે જે પાંચ મહાભુતો કહ્યાં,તે પાંચેના ગુણો મને કહો'

વ્યાધ બોલ્યો-હે બ્રહ્મન,શબ્દ,સ્પર્શ,રૂપ,રસ ને ગંધ-એ પાંચે ગુણો પૃથ્વીમાં રહેલા છે.શબ્દ,સ્પર્શ,રૂપ,રસ-એ

ચાર ગુણો જળના કહ્યા છે,શબ્દ,સ્પર્શ,રૂપ-એ ત્રણ ગુણો તેજના છે,શબ્દ,સ્પર્શ એ બે ગુણો વાયુના છે અને શબ્દ એ

આકાશનો એક જ ગુણ છે.આ સર્વ સંસાર પંચમહાભૂતોમાં રહેલા ગુણોને આશ્રયે રહેલો છે.

Apr 22, 2024

સાથ-By અનિલ શુક્લ

 

નથી પડતી ખબર એની,કે યાદ હું કરું છું કે તમે?
સંદેશ કોઈ ગજબથી અહીં તહીં કેમ અથડાય છે?

બાદબાકી કેમ થતી નથી હોતી-એ ગજબ યાદની,
જયારે જૂઓ,તેનો તો સરવાળો જ થતો દેખાય છે.

વિસારું હું નહિ પ્રભુ,તમને,તમે પણ ના વિસારશો,
શ્વાસની સુગંધ બન્યો પવન,સતત તમારો સાથ છે.

અનિલ
૧૪ ઓક્ટોબર-૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-494

 

અધ્યાય-૨૧૦-બ્રહ્મવિદ્યાનો ઉપદેશ 


II मार्कण्डेय उवाच II एवमुक्तस्तु विप्रेण धर्मव्याधो युधिष्ठिर I प्रत्युवाच यथा विप्रं तच्छ्रुणुष्व नराधिप II १ II

.માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,બ્રાહ્મણે આમ પૂછ્યું એટલે ધર્મવ્યાધે જે ઉત્તર આપ્યો તે તમે સાંભળો'

ધર્મવ્યાધ બોલ્યો-હે દ્વિજશ્રેષ્ઠ,મનુષ્યોનું મન પ્રથમ વિષયોને જાણવા માટે પ્રવૃત્તિ કરે છે,ને જાણ્યા પછી તે કામને ક્રોધને ભજે છે.ને તે તે માટે પ્રયત્ન કરે છે,ને મહાન કર્મો આરંભે છે.આમ તે રૂપ,ગંધ આદિ વિષયોનો અભ્યાસ કર્યા કરે છે જેથી રાગ (આસક્તિ) જન્મે છે.આ રાગમાંથી દ્વેષ,દ્વેષમાંથી લોભ ને લોભમાંથી મોહ પેદા થાય છે.

Apr 21, 2024

પરવારી ગયો-By અનિલ શુક્લ

 

અનુભવું,ધન્યતા,કરી દર્શન,જે વસી રહ્યો,તમારામાં,
એવું બને છે કદીક,કે તે-જ-તમે જુઓ છો મારામાં.

શું,પરિસ્થિતિનો ફરક જ હશે ને? બીજું તો નહિ કશું?
તમે,વિચારો છો,કે કંઇક તો -ફરક તો કેમ રહી ગયો?

નથી જોતા તમારામાં,તમે,જે જોઉં છું હું તમારામાં,
બંને જગાએ ને સર્વે,"એ" ને જોઈ,પવન પરવારી ગયો !

અનિલ શુક્લ
ઓક્ટોબર-૨૮-૨૦૧૬