દુર્યોધને,(ઉલૂકને સંદેશો આપતાં)કહ્યું કે-હે ઉલૂક,તારે પાંડવોની સમીપમાં જ વાસુદેવને કહેવું કે-તમે પોતાના માટે કે પાંડવોની માટે સજ્જ થઈને મારી સાથે યુદ્ધ કરો.તમે કૌરવોની સભામાં માયા વડે જે રૂપ ધારણ કર્યું હતું તેવું જ રૂપ લઈને અર્જુન સાથે મારી સામે યુદ્ધ કરવા દોડી આવો.ઇંદ્રજાળ,માયા કે કૃત્યા વગેરે સામાન્ય મનુષ્યોમાં જ ભય ઉત્પન્ન કરે છે,શસ્ત્રધારી પુરુષોને તો તે સંગ્રામમાં વીરશ્રી ઉત્પન્ન કરે છે,અમને તમારી માયાનો ભય નથી,ભયદર્શનથી કાર્યની સિદ્ધિ થતી નથી.ખરી રીતે તો એક વિધાતા જ પોતાની ઈચ્છા વડે પ્રાણીઓને તાબે કરે છે.તમે જે સંજય સામે બોલ્યા હતા કે-'હું સંગ્રામમાં ધૃતરાષ્ટ્ર પુત્રોને મારી પાંડવોને ઉત્તમ રાજ્ય આપીશ' તો તે વચન સત્ય કરવા સજ્જ થઈને રણભૂમિમાં યુદ્ધ કરો.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 14, 2025
May 13, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-815
ઉલૂક દૂતાગમન પર્વ
અધ્યાય-૧૬૦-દુર્યોધને ઉલૂક દૂતની સાથે સંદેશો કહાવ્યો
II संजय उवाच II हिरण्वत्यां निविष्टेषु पांडवेषु महात्मसु I न्यविशंत महाराज कौरवेया यथाविधि II १ II
સંજયે કહ્યું-મહાત્મા પાંડવોએ હિરણ્યવતી નદીના તીર પર પડાવ નાખ્યો,ત્યારે કૌરવોએ પણ વિધિ પ્રમાણે છાવણીમાં નિવાસ કર્યો.યુદ્ધની સર્વ વ્યવસ્થા કર્યા પછી,દુર્યોધને કર્ણ,દુઃશાસન ને શકુનિને બોલાવી એકાંતમાં મસલત કરીને,(શકુનિ પુત્ર)ઉલૂકને તેડાવી,તેને કહ્યું કે-'હે જુગારીના પુત્ર ઉલૂક,તું સોમકોની સાથે રહેનારા પાંડવોની પાસે જા અને ત્યાં જઈને શ્રીકૃષ્ણના સાંભળતા મારો સંદેશો પ્રથમ ભીમને કહેજે કે-'વાસુદેવની સહાયતાવાળા તેં,તારા ભાઈઓની વચ્ચે,પોતાની પ્રશંસાનાં જે મોટાં વચનો, ગર્જના કરીને ઉચ્ચાર્યા છે તે વચનો,સંજયે અમને કહ્યાં છે એટલે,હવે તે વચનોને સફળ કરવાનો સમય હવે આવી ગયો છે.તેં જે પ્રતિજ્ઞાઓ કરી છે તે હવે સત્ય કરી દેખાડ.'
May 12, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-814
અધ્યાય-૧૫૯-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ
II जनमेजय उवाच II तथा व्युढेष्वनिकेषु कुरुक्षेत्रे द्विजर्षभ I किमकुर्वश्च कुरवः कालेनाभिप्रचोदिताः II १ II
જન્મેજયે પૂછ્યું-હે દ્વિજશ્રેષ્ઠ,કુરુક્ષેત્રમાં સેનાઓ તે પ્રમાણે વ્યૂહરચનામાં ગોઠવાઈ ગયા પછી
કાળવડે પ્રેરાયેલા કૌરવોએ શું કર્યું?
વૈશંપાયને કહ્યું-ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું કે-'હે સંજય,તું અહીં આવ,અને કૌરવ-પાંડવની છાવણીમાં જે વૃતાંત બન્યો હોય,તેમાંથી કંઈ પણ બાકી ન રાખીને સર્વ મને કહે.હું દૈવને જ શ્રેષ્ઠ માનું છું ને પુરુષાર્થને નિરર્થક માનું છું,કારણકે હું પરિણામે વિનાશ ઉત્પન્ન કરનારા યુદ્ધના દોષોને જાણું છું,તો પણ કપટબુદ્ધિવાળા મારા પુત્રને કબ્જે રાખવામાં સમર્થ થતો નથી.મારી બુદ્ધિ મારા કાર્યના દોષોને અવશ્ય જુએ છે પણ દુર્યોધનને મળતાં જ પાછી ફરી જાય છે.આવી વસ્તુસ્થિતિ છે માટે જે થવાનું હશે તે થશે.ક્ષત્રિયોએ રણમાં દેહનો ત્યાગ કરવો,એ તેઓનો માન્ય ધર્મ જ છે'(7)
May 11, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-813
અધ્યાય-૧૫૮-રૂક્મી ને પાછો કાઢ્યો
II वैशंपायन उवाच II एतास्मिन्नेव काले तु भीष्मकस्य महात्मनः I हिरण्यरोम्णो नृपते साक्षादिंद्रसखस्य वै II १ II
વૈશંપાયને કહ્યું-'એ જ સમયે ઇન્દ્રના મિત્ર ને હિરણ્યરોમા નામથી પ્રસિદ્ધ,દક્ષિણદેશના અધિપતિ,ભોજવંશી ભીષ્મકરાજાનો રુક્મી નામનો પુત્ર પાંડવો પાસે આવ્યો.તે ગંધમાદન પર્વત પર રહેનારા ગંધર્વ દ્રુમનો શિષ્ય હતો ને સંપૂર્ણ ધનુર્વેદ શીખ્યો હતો.જે રૂક્મીને,મહેન્દ્રનું 'વિજય' નામનું દિવ્ય ધનુષ્ય મળ્યું હતું.સ્વર્ગમાં રહેનારા દેવોનાં ત્રણ ધનુષ્યો જ દિવ્ય કહેવાય છે.તેમાંનું એક વરુણનું 'ગાંડીવ' (જે અર્જુન પાસે હતું) બીજું મહેન્દ્રનું આ 'વિજય' અને ત્રીજું વિષ્ણુનું 'સારંગ' (કે શ્રીકૃષ્ણ ધારણ કરે છે).ગાંડીવ ધનુષ્ય અર્જુનને ખાંડવવનમાં અગ્નિ પાસેથી મળ્યું હતું.મેઘના જેવા શબ્દવાળા 'વિજય' ધનુષ્યને મેળવી,જાણે આખા જગતને ભય પમાડતો હોય તેમ તે રૂક્મી,પાંડવોની પાસે આવ્યો હતો.
May 10, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-812
અધ્યાય-૧૫૭-બલરામ તીર્થયાત્રા કરવા ગયા
II जनमेजय उवाच II आपगेयं महात्मानं भीष्मं शस्त्रभृतांवरम् I पितामहं भारतानां धवजं सर्वमहिक्षिताम् II १ II
જન્મેજયે પૂછ્યું-'ગંગાપુત્ર,ભીષ્મપિતામહને,આ વિશાળ રણયજ્ઞમાં લાંબા કાળને માટે
દીક્ષિત થયેલા સાંભળીને,યુધિષ્ઠિર,અર્જુન અને શ્રીકૃષ્ણે શું કહ્યું?'
વૈશંપાયને કહ્યું-'મહાબુદ્ધિમાન યુધિષ્ઠિરે,પોતાના સર્વ ભાઈઓ અને શ્રીકૃષ્ણને પોતાની પાસે બોલાવીને તેઓને સાંત્વનપૂર્વક કહ્યું કે-'તમે સર્વ સૈન્યમાં ફરીને તેની તપાસ રાખો ને બખ્તરો ચડાવીને સજ્જ રહો કેમ કે તમારે પ્રથમ ભીષ્મ પિતામહની સામે યુદ્ધ કરવું પડશે.એટલા માટે તમે સાત અક્ષૌહિણી સેનાના સાત સેનાપતિ પ્રથમ યોજના કરો.'
શ્રીકૃષ્ણે કહ્યું-'હે ભરતશ્રેષ્ઠ,આવે સમયે તમારે જેવું કહેવું જોઈએ તેવું જ અર્થયુક્ત વાક્ય તમે એ બોલ્યા છો'
May 9, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-811
અધ્યાય-૧૫૬-ભીષ્મને મુખ્ય સેનાપતિ નિમ્યા
II वैशंपायन उवाच II ततः शांतनवं भीष्मं प्रांजलीर्धृतराष्ट्रजः I सः सर्वैर्महीपालैरिदं वचनमब्रवीत II १ II
વૈશંપાયને કહ્યું-તે પછી,દુર્યોધન બે હાથ જોડી,સર્વ રાજાઓની સાથે શાંતનુપુત્ર ભીષ્મને કહેવા લાગ્યો કે-'સેના ઘણી મોટી હોય,તો પણ તે સેનાના નાયક વિના યુદ્ધનો પ્રસંગ આવતાં કીડીઓના સમૂહની જેમ છૂટીછૂટી વિખેરાઈ જાય છે.સેના ગમે તેટલી મોટી હોય પણ તેનો સેનાપતિ એક જ હોવો જોઈએ,કારણકે બે પુરુષોની બુદ્ધિ કદી પણ એક વિચારવાળી થતી નથી,વળી તે સેનાપતિઓમાં પરસ્પર શૌર્યની પણ સ્પર્ધા થાય છે.આ સંબંધમાં એક પ્રાચીન કથા સાંભળવામાં આવે છે.





