May 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-825

 

અધ્યાય-૧૭૧-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II पंचालराजस्य सुतो राजनार पुरंजयः I शिखण्डी रथमुख्यो मे मतः पार्थस्य भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારતરાજ,પાંડવોના પક્ષમાં પાંચાલરાજના પુત્ર શિખંડીને હું મુખ્ય રથી માનું છું.એ શિખંડી પોતાનો પ્રાચીન સ્ત્રીભાવ ત્યજીને,અર્થાંત પુરુષાર્થ દેખાડીને,સંગ્રામમાં ઉત્તમ યશનો વિસ્તાર કરતો તારી સેના સાથે યુદ્ધ કરશે.

દ્રોણનો મહારથી શિષ્ય અને પાંડવ સેનાનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન અતિરથી છે,એમ હું માનું છું.એની રથસેના,દેવોની રથસેના જેવડી મોટી અને સાગર સમાન છે.યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર વાળશે.ધૃષ્ટદ્યુમ્નના પુત્ર ક્ષત્રધર્માને હું અર્ધરથી માનું છું,કારણકે તેણે બાલ્યાવસ્થાને લીધે યુદ્ધકળામાં બહુ પરિશ્રમ કર્યો નથી.

May 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-824

 

અધ્યાય-૧૬૯-પાંડવોના રથીઓ અને અતિરથીઓ 


II भीष्म उवाच II एते रथास्तवाख्यातास्तथैवातिरथा नृप I ये चाप्यर्द्वरथा राजन पांडवानामतः शृणु II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,તારા રથીઓ,અતિરથીઓ ને અર્ધરથીઓ મેં તને કહ્યા હવે તું પાંડવોના રથી વગેરેને સાંભળ.

યુધિષ્ઠિર ઉત્તમ રથી છે ને સંગ્રામમાં અગ્નિની જેમ ફરી વળશે,એમાં સંદેહ નથી.ભીમસેન આઠગણો રથી છે,ગદાયુદ્ધ અને બાણયુદ્ધમાં તેના સમાન કોઈ નથી.તે દશ હજાર હાથીનું બળ ધરાવે છે.બંને માદ્રીપુત્રો રથી છે.પૂર્વનાં દુઃખો સંભારીને તે પાંડવો રુદ્રની જેમ સંહાર કરતા રણમાં ઘૂમશે તેમાં મને સંદેહ લાગતો નથી.

May 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-823

 

અધ્યાય-૧૬૮-અતિરથીની ગણનામાં ભીષ્મ ને કર્ણનો વિવાદ 


II भीष्म उवाच II अचलो वृषकश्वैव सहितौ भ्रात्ररावुभौ I रथौ तव दुराधार्षौ शत्रुन्विध्वंसयिश्यतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મહાપરાક્રમી અને ગાંધારોમાં મુખ્ય અચલ તથા વૃષક નામના બે જોડીદાર ભાઈઓ રથીઓ છે.

હવે તારો મિત્ર,મંત્રી,ને વહાલો સૂર્યપુત્ર કર્ણ,કઠોર,આત્મશ્લાઘી,અત્યંત ચઢાઉ,રણમાં નિત્ય તીક્ષ્ણ,અભિમાની અને નીચ છે અને તને પાંડવોની સાથે નિત્ય વૈર કરવામાં ઉત્તેજન આપ્યા કરે છે,તે કર્ણ રથી કે અતિરથી નથી,કેમ કે નિત્ય નિંદક તથા મૂર્ખ તે જન્મસિદ્ધ કવચ ને કુંડળોથી રહિત થયો છે.પરશુરામના શાપને લીધે અને કવચ-કુંડળ રહિત થવાને લીધે હું તેને અર્ધરથી માનું છું.અર્જુનની સામે રણમાં જતા તે પાછો જીવતો છૂટશે નહિ.(7)

May 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-822

 

અધ્યાય-૧૬૬-રથી-અતિરથીની ગણના 


II भीष्म उवाच II सुदक्षिणस्तु काम्बोजो रथ एकगुणो मतः I तवार्थसिध्धिमाकांक्ष्न्योत्स्यते समरे परैः II १ II

ભીષ્મે કહ્યું-કામ્બોજરાજ સુદક્ષિણ એકગણો રથી મનાય છે,માહિષ્મતીવાસી નીલરાજા રથી છે,કે જેને સહદેવની સાથે વૈર થયેલું છે,એ તારે માટે સતત યુદ્ધ કરશે.અવંતીરાજ વિંદ અને અતિવિન્દ રથીઓમાં શ્રેષ્ઠ ગણાય છે.ત્રિગર્ત દેશના અધિપતિ પાંચ બંધુઓ ઉત્તમ રથીઓ છે.તારો પુત્ર લક્ષ્મણ અને દુઃશાસનનો પુત્ર એ બંને ઉત્તમ રથીઓ  છે.કે જેઓ મહાન કર્મ કરશે.

May 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-821

 

રથાતિરથ સંખ્યાન પર્વ 

અધ્યાય-૧૬૫-ભીષ્મે દુર્યોધનને ધીરજ આપી 


II धृतराष्ट्र उवाच II प्रतिज्ञाते फ़ाल्गुनेन वधे भीष्मस्य संयुगे I किमकुर्वत मे मंदाः पुत्रा दुर्योधनादयः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-અર્જુને સંગ્રામમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા કરી,પછી મારા દુર્યોધન આદિ મૂર્ખ પુત્રોએ શું કર્યું? હું તો વાસુદેવની સહાયતાવાળા અર્જુને,સંગ્રામમાં ભીષ્મને મારી નાખ્યા હોય તેમ જ જોઉં છું.ભીષ્મે અર્જુનનું ભાષણ સાંભળીને શું કહ્યું?અને સેનાપતિપદ ગ્રહણ કર્યા પછી ભીષ્મે શું કર્યું?તે સર્વ મને કહે.

May 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-820

 

અધ્યાય-૧૬૪-સેનાપતિની યોજના 


II संजय उवाच II उलूकस्य वचः श्रुत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I सेनां निर्यापमासाय धृष्टध्युम्नपुरोगमाम II १ II

સંજયે કહ્યું-ઉલૂકનું કહેવું સાંભળ્યા પછી,કુંતીપુત્ર યુધિષ્ઠિરે,ધૃષ્ટદ્યુમ્નની આગેવાની હેઠળ,હાથી,ઘોડા,રથ અને પાળાવાળી ચતુરંગિણી,ભયંકર અને પૃથ્વીના જેવી અકંપ્ય સેનાને રણભૂમિ તરફ રવાના કરી.અર્જુન સહિત ભીમસેન વગેરે તે સેનાનું રક્ષણ કરતા હતા.તે સેના,નિશ્ચળ સમુદ્રના જેવી ગંભીર દેખાતી હતી.ધૃષ્ટદ્યુમ્ન આગળ રહીને તે સેનાને દોરતો હતો.તેણે પોતાના રથીઓનાં બળાબળનો તથા યુદ્ધોત્સાહનો વિચાર કરીને,તેઓની દ્વંદ્વ યુદ્ધમાં યોજના કરતાં કહ્યું કે-