અધ્યાય-૪૬-ભયંકર રણસંગ્રામ
॥ संजय उवाच ॥ राजन शतसहस्त्राणि तत्र तत्र पदातिनां I निर्मर्याद प्रयुद्वानि तत्तेवक्ष्यामि भारत ॥१॥
સંજયે કહ્યું-હે રાજન,તે યુદ્ધમાં જ્યાં જુઓ ત્યાં લાખો પાળાઓ પોતાની મર્યાદાનો ત્યાગ કરીને,જેમ આવે તેમ લડતા હતા.તે યુદ્ધમાં પુત્ર પોતાના પિતાને,પિતા પોતાના પુત્રને,ભાઈ પોતાના સાગા ભાઈને,મામા પોતાના ભાણેજને,ભાણેજ પોતાના મામાને,અને મિત્ર પોતાના મિત્રને ગણતો નહોતો.જાણે ભૂતનો આવેશ થયો હોય તેમ પરસ્પર ભાન રાખ્યા વિના પાંડવો અને કૌરવો લડતા હતા.હે રાજા,કેટલાએક શૂરવીરો,રથોને લઈને રથોના સૈન્યમાં ધસી જતા હતા,ત્યારે એકેકની ધુંસરીઓ અથડાવાથી તે ભાંગી જતી હતી અને રથો આડેધડ સામસામે ટકરાવાથી ભાંગી પડતા હતા.





