Oct 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-938

 

શ્રીકૃષ્ણે પોતાના હાથમાં ઘોડાની લગામ લીધી અને પાંચજન્ય નામનો શંખ વગાડીને તેના નાદથી સર્વ દિશાઓને ગજવી મૂકી.સર્વ સેનામાં સિંહનાદો થવા લાગ્યા.ને ત્યારે અર્જુને ગાંડીવનો ટંકાર કરીને સર્વ દિશામાં તીવ્ર બાણો છોડવા માંડ્યાં.

તે વખતે દુર્યોધન,હાથમાં ધનુષ્ય લઈને,ઘણા વેગપૂર્વક ભીષ્મ અને ભૂરિશ્રવા સાથે અર્જુનની સામે ધસી આવ્યો.

દુર્યોધને ઉગ્ર વેગવાળાં તોમરથી,શલ્યરાજાએ ગદાથી અને ભીષ્મે શક્તિથી અર્જુન પર પ્રહાર કર્યો.કે જેને અર્જુને અધવચ્ચે જ તોડી નાખ્યા ને ગાંડીવથી અનેક બાણો છોડીને દિશાઓને ઢાંકી દીધી.ગાંડીવના ટંકાર માત્રથી દુશ્મન સૈન્યના સૈનિકોના ગાત્રો શિથિલ થઇ જતા હતા.અને કોઈ પણ યોદ્ધો અર્જુન સામે આગળ ધસી શકતો નહોતો.અર્જુને અસંખ્ય-અગણિત યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો ત્યારે તે અને શ્રીકૃષ્ણ આનંદમાં આવી જઈને સિંહનાદો કરવા લાગ્યા.


ત્યાર પછી,કિરણોને સમેટી લેતા સૂર્યને જોઈને,હવે રાત્રિ થવા આવી છે એમ માનીને શસ્ત્રોના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલા શરીરવાળા ભીષ્મ,દ્રોણ ને દુર્યોધન આદિએ પોતાની સેનાને છાવણી તરફ પછી વળી.અર્જુન પણ પોતાના શત્રુઓનો પરાજય કરીને,કીર્તિ ને યશ મેળવીને,યુદ્ધ કર્મ સમાપ્ત કરીને,રાત્રિનો સમય થતાં પોતાની છાવણી તરફ પાછો ફર્યો.તે રાત્રિના આરંભમાં કૌરવોની છાવણીમાં તુમુલ કોલાહલ થઇ રહ્યો કે-'આજે તો રણસંગ્રામમાં અર્જુને દશ હજાર રથીઓ,સાતસો હાથીઓ અને અગણિત યોદ્ધાઓને મારીને ઘણું મોટું પરાક્રમ કરી બતાવ્યું છે.કે જે કરવાને બીજો કોઈ યોગ્ય નથી.આજના યુદ્ધમાં તો અર્જુને દ્રોણ,ભીષ્મ,જયદ્રથ,ભૂરિશ્રવા,શલ્ય આદિ અનેક યોદ્ધાઓને જીત્યા છે' આ પ્રમાણે વાતો કરતા કરતા ને અર્જુને ત્રાસ પમાડેલા કૌરવ સેનાના યોદ્ધાઓએ હજારો મશાલોથી પ્રકાશિત પોતપોતાની છાવણીમાં પ્રવેશ કર્યો.(139)

અધ્યાય-59-સમાપ્ત

Sep 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-937

 

સાત્યકિએ ભાગતા યોદ્ધાઓને વાર્યા.ત્યારે શ્રીકૃષ્ણ તેને કહેવા લાગ્યા કે-'હે સાત્યકિ,જે યોદ્ધાઓ નાસી જતા હોય તેમને સુખેથી નાસી જવા દે.જે ઉભેલા છે તેમને પણ જવું હોય તો જવા દે.આજે હું પોતે જ ભીષ્મ,દ્રોણનો-સૈન્ય સહીત નાશ કરીશ.કૌરવોમાં કોઈ પણ એવો યોદ્ધો નથી કે જે મારી પાસથી છૂટી શકે.માટે હું પોતે જ સુદર્શન ચક્ર લઈને ભીષ્મના પ્રાણ લઈશ.તેમના મુખ્ય રાજાઓનો પણ હું નાશ કરીશ અને યુધિષ્ઠિરને રાજ્ય આપાવીશ.'આમ કહીને શ્રીકૃષ્ણે ઘોડાઓની લગામ હાથમાંથી છોડી દીધી અને એક હાથે,સુંદર આરાઓ વાળું,સૂર્યસમા કાંતિવાળું,વજ્ર સમાન પ્રભાવવાળું ને તીવ્ર ધારવાળું સુદર્શન ચક્ર હાથમાં લીધું અને ઘણા વેગથી ભીષ્મની સામે દોડ્યા.

Sep 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-936

 

ત્યારે શ્રીકૃષ્ણે રથને ભીષ્મ સામે લીધો.ભીષ્મની સામે યુદ્ધ કરવા તત્પર થયેલો જોઈને સૈન્ય પાછું ફર્યું.

પછી સિંહની જેમ ગર્જના કરતા ભીષ્મે,અર્જુનના રથને બાણો વડે ઢાંકી દીધો.શ્રીકૃષ્ણ સહીત તે રથ જરા પણ દેખાતો નહોતો છતાં પણ વાસુદેવે ગભરાયા વિના ઘોડાઓને ભીષ્મ પ્રતિ હંકાર્યા કર્યા.અર્જુને પોતાનું ગાંડીવ હાથમાં લીધું અને તેમાં ત્રણ બાણ સાંધીને ભીષ્મના ધનુષ્યના ત્રણ કકડા કરી નાખ્યા.ભીષ્મે તરત જ બીજું ધનુષ્ય હાથમાં લીધું,કે જેને પણ અર્જુને તોડી નાખ્યું.

અર્જુનની ચતુરાઈના વખાણ કરતા ભીષ્મ કહેવા લાગ્યા કે-'હે અર્જુન,ધન્ય છે તને,હું તારા પર પ્રસન્ન છું આવ,ખુશીથી મારી સાથે યુદ્ધ કર' એમ કહીને ત્રીજું ધનુષ્ય હાથમાં લઈને તેમણે અર્જુનના રથ પર બાણો છોડવા માંડ્યાં .

Sep 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-935

 

અધ્યાય-૫૯-ભીષ્મનું ભયંકર યુદ્ધ-ત્રીજો દિવસ પૂર્ણ 


॥ धृतराष्ट्र उवाच ॥ प्रतिज्ञाते ततस्मिन्यद्वे भीष्मेण दारुणे I क्रोधिते मम पुत्रेण दुःखितेन विशेषतः ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,વિશેષે કરીને દુઃખી થયેલા મારા પુત્રે,ભીષ્મ પાસે દારુણ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા લેવરાવી 

પછી,તેમણે પાંડવોની સામે કેવીરીતે યુદ્ધ કર્યું?તથા પાંચાલોએ ભીષ્મની સામે કેવી રીતે યુદ્ધ કર્યું?

સંજયે કહ્યું-હે ભારત,તે દિવસનો પ્રથમ ભાગ લગભગ વીતી ગયો હતો ને સૂર્ય પશ્ચિમમાં આવી રહ્યો હતો ને જય મેળવીને પાંડવો હર્ષિત થઇ રહ્યા હતા ત્યારે ભીષ્મ,ચારે બાજુ તમારા પુત્રો વડે રક્ષિત થઈને પાંડવોની સેનામાં ધસી ગયા.અને તુમુલ યુદ્ધ શરુ થયું.સેંકડો ને હજારો તાજાં કપાયેલાં મસ્તકો અને આભૂષણોથી શોભતા બાહુઓ રણભૂમિ પર પડીને તરફડતા હતા.

માંસ અને લોહીરૂપ કાદવવાળી મોટા વેગવાળી લોહીની નદી વહેવા લાગી.

Sep 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-934

 

અધ્યાય-૫૮-ભીષ્મ અને દુર્યોધનનો સંવાદ 


॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः कृद्वाः फ़ाल्गुनं वीक्ष्य संयुगे I रथैरनेकसाहस्त्रैः समंतात्पर्यवारयन्  ॥१॥ 

સંજયે કહ્યું-બધા રાજાઓ સામે અર્જુનને રણસંગ્રામમાં આવેલો જોઈને તે રાજાઓ એકદમ કોપાયમાન થઈને હજારો બાણો છોડીને અર્જુનને આગળ વધતો અટકાવવા લાગ્યા.તે રાજાઓએ અર્જુનના રથ પર દેદીપ્યમાન શક્તિઓ,ગદાઓ,ભાલાઓ,

ફરસીઓ,મુદ્દગરો-આદિ અનેક પ્રકારનાં અસ્ત્રો ફેંકવા માંડ્યાં ત્યારે અર્જુને તે સર્વને પોતાના બાણોથી અટકાવી દીધા.

અર્જુનની ચતુરાઈ જોઈને ત્યાં રહેલા દેવો,દાનવો,ગંધર્વો-આદિ સર્વેએ ધન્યવાદના પોકાર કરીને તેના વખાણ કર્યા.