કોઈ પણ ધર્મમાં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાયમાં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-
રામજીની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.
II संजय उवाच II ततो दुःशासन क्रुद्धः सहदेवमुपाद्रवत I रथवेगेन तीव्रेण कंपयन्निव मेदिनीम II १ II
સંજય બોલ્યો-તે પછી,ક્રોધે ભરાયેલો દુઃશાસન તીવ્ર વેગથી પૃથ્વીને કંપાવતો સહદેવના રથ સામે ધસ્યો,કે તરત જ સહદેવે એક ભલ્લ બાણ મૂકીને તેના સારથિના મસ્તકને છેડી નાખ્યું.એ વેળા સહદેવે એ કાર્ય એટલી બધી ઝડપથી કર્યું હતું કે દુઃશાસનને પણ પોતાના સારથિના શિરચ્છેદની ખબર પડી નહિ.પણ છૂટી લગામવાળા ઘોડાઓ પોતાને ફાવે તેમ જવા લાગ્યા ત્યારે દુઃશાસને પોતે જ લગામ હાથમાં લીધી ને સહદેવ સામે યુદ્ધ કરવા લાગ્યો.ઘોડાઓની લગામ ને ધનુષ્ય એ બંનેને સંભાળતા તે દુઃશાસનને,સમયનો લાભ લઈને સહદેવ સંખ્યાબંધ બાણો મૂકીને તેને ઢાંકી દઈ રહ્યો હતો.
II संजय उवाच II ते तथैव महाराज दंशिना रणमूर्धनि I संध्यागतं सहम्याशुमादित्यमुपतम्यिरै II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,ત્યારે તે સર્વ યોદ્ધાઓ કવચો સજીને રણને મોખરે ઉભા રહ્યા અને ઉદય પામેલા સૂર્યનું ઉપસ્થાન કરવા લાગ્યા.ને પછી પુનઃ યુદ્ધનો પ્રારંભ થયો.સૂર્યોદયની પહેલાં રાત્રીના સમયે જે યોદ્ધાઓ સામસામે ભેટ્યા હતા તે સૂર્યોદયની બાદ પાછા સામસામા આવીને યુદ્ધ કરવા લાગ્યા હતા.તે બધાએ રાત્રિમાં સારી રીતે યુદ્ધ કર્યું હતું,તેથી તેઓ થાક્યા હતા ને ક્ષુધા-તૃષાથી વ્યાપ્ત થઈને બેભાન જેવા થયેલા હતા.છતાં,ત્યાં ભેરી,મૃદંગ,શંખ,ગર્જના કરતા હાથીઓ,ધનુષ્યોના ટંકારનો ને સિંહ ગર્જનાઓનો શબ્દ આકાશમાં અથડાયો હતો.
II संजय उवाच II त्रिभागमात्रशेषायां रात्र्यां युध्धमववर्तत I कुरूणां पांडवानां संह्रष्टानां विशापते II १ II
સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,જયારે માત્ર ત્રણ મુહૂર્ત જેટલી રાત્રિ બાકી રહી હતી,ત્યારે પુનઃ હર્ષમાં આવેલા કૌરવો ને પાંડવોનું યુદ્ધ થઇ રહ્યું હતું.પછી,સૂર્ય ઉદય પામ્યો ત્યારે સર્વ કૌરવ-પાંડવ,તુરત પોતાના વાહનોનો ત્યાગ કરીને સૂર્યની સામે ઉભા રહી,હાથ જોડીને સંધ્યોપાસનપૂર્વક જપ કરવા લાગ્યા.તે પ્રાતઃકર્મની સમાપ્તિ થઇ એટલે દ્રોણાચાર્ય સૈન્યને બે ભાગમાં વહેંચી ને પોતે સોમક,પાંડવ અને પાંચાલો સામે ધસ્યા.કૌરવ સેનાને એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલી જોઈને શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન દ્રોણાચાર્યને ડાબી તરફ કરી જમણી તરફ ગયો.એ વેળા શ્રીકૃષ્ણના અભિપ્રાયને સમજીને ભીમસેન અર્જુનને કહેવા લાગ્યો કે-'હે અર્જુન,ક્ષત્રિયાણી જે માટે પુત્રને ઉત્પન્ન કરે છે તેનો આ સમય આવી પહોંચ્યો છે.આ સમયે પરાક્રમ કરીને તું આ શત્રુઓના સૈન્યને ભેદી નાખીને તેમને ડાબી તરફ કરી નાખ'
II संजय उवाच II ततो दुर्योधनो द्रोणमभिगम्याब्रविदिदम I अमर्पवशमापन्नो जनयन हर्षतेजसी II १ II
સંજય બોલ્યો-'ત્યારે ક્રોધવશ થયેલો દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો ને તેમના હર્ષ-તેજને ઉત્પન્ન કરતો બોલ્યો કે-'હે આચાર્ય,સંગ્રામમાં વિશ્રામ લેતા શત્રુઓને હવે તમારે સહન કરવા ન જોઈએ.તેઓના મન અને તન થાક્યા છે અને ખાસ કરીને અત્યારે તે લાગમાં આવ્યા છે.આજ દિવસ સુધી અમે જે જે સહન કર્યું છે તે તમને પ્રિય થઇ પડે તેવી ઈચ્છાથી જ,પણ હવે અમારાથી સહન થતું નથી.પાંડવો જોકે બળવાન છે પણ તેઓ આ સમયે વિશ્રાંતિ લીધા છતાં સર્વથા તેજ ને બળથી હીન થયા છે.તમે એમનું વારંવાર રક્ષણ કરો છે તેથી જ તે આગળ વધ્યે જાય છે.તમારી પાસે જે બ્રહ્માસ્ત્ર આદિ દિવ્ય અસ્ત્રો છે તેની સામે પાંડવો ને બીજા ધનુર્ધરો પણ યુદ્ધમાં તમારી તુલના કરી શકે તેમ નથી.તમે જો ધારો તો તમારા દિવ્ય અસ્ત્રોથી દેવો,દૈત્યો ને ગંધર્વો સહીત સર્વનો સંહાર કરી શકો તેમ છે તેમાં સંશય નથી.આવા તમે એ પાંડવોને સહન કરી રહ્યા છો તેમાં કારણ તરીકે તો તેમના પ્રત્યે તમારો શિષ્યો તરીકેનો પ્રેમ અથવા અમારી મંદભાગ્યતા જ હોઈ શકે'