Mar 16, 2026

ભાગવત રહસ્ય-૯૪-Bhgavat Rahasya-94

સનતકુમારો(સનકાદિ) ઋષિઓએ જય-વિજયને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામમાં આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1076

 

અધ્યાય-૭૬-શ્રીકૃષ્ણ પ્રત્યે અર્જુનનાં વચનો 


 II अर्जुन उवाच II षडरथान्धातरराष्ट्रस्य मन्यसे यान्बलाधिकान I तेषां वीर्य ममार्धेन न तुल्यमिति मे मतिः II १ II

અર્જુન બોલ્યો-હે શ્રીકૃષ્ણ,તમે એ દુર્યોધનના છ મહારથીઓને અધિક બળવાન માનો છો,પણ તે બધાનું પરાક્રમ મારા અર્ધા પરાક્રમ જેટલું છે એમ હું નિશ્ચય માનું છું.જયદ્રથનો વધ કરવા ઇચ્છીને હું આવતી કાલે સર્વનાં અસ્ત્રોને મારાં અસ્ત્રોથી કેવો નાશ કરું છું-તે તમે જોશો.અરે,દ્રોણાચાર્ય જોતા રહેશે ને હું સિંધુરાજના મસ્તકને પૃથ્વી પર પાડી દઈશ.હે મધુસુદન,

ધારો કે,સાધ્યો,વસુઓ,રુદ્રો,દેવો,ગંધર્વો આદિ સહીત કોઈ પણ સ્થાવર જંગમ પ્રાણીઓ સિંધુરાજનું જો રક્ષણ કરશે તો પણ હું બાણો વડે તે સર્વનો નાશ કરીશ તે તમે જોશો,આ હું સત્યના ને મારા આયુધના સોગંધ ખાઈને કહું છું.

Mar 15, 2026

ભાગવત રહસ્ય-૯૩-Bhgavat Rahasya-93

જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-ને અતિસાવધ રહેવાથી કામને 
જીતી શકાય છે.પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાક મહાત્માઓને-માયા-એ- કીર્તિમાં ફસાવે છે.
સાધુ મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1075

 

અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણ વચન 


 II संजय उवाच II प्रतिज्ञाते तु पार्थेन सिन्धुराजवदे तदा I वासुदेवो महाबहुर्धनंजयभाषत II १ II

સંજય બોલ્યો-જે સમયે અર્જુને સિંધુરાજ જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી,તે સમયે મહાબાહુ વાસુદેવ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તેં તારા ભાઈઓની સંમતિ લીધા વિના એકદમ જ પ્રતિજ્ઞા કરી નાખી લે-'સિંધુરાજ જયદ્રથનો હું વધ કરીશ' પણ તે આ એક મોટું સાહસ કર્યું છે.તેં મારી સાથે પણ વિચાર વિમર્શ કર્યો નથી અને ને આ મોટો ભાર ઉપાડી લીધો છે.મેં દુર્યોધનની છાવણીમાં આપણા દૂતોને મોકલ્યા હતા તેમણે સત્વર આવીને આ પ્રમાણે ખબર આપી છે.

Mar 14, 2026

ભાગવત રહસ્ય-૯૨-Bhgavat Rahasya-92

દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું 
તેજ ઘટવા લાગ્યું.દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ-કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ? 
દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભમાં વિરાજેલા –એ છે કોણ ? 
બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1074

 

અધ્યાય-૭૪-જયદ્રથની વ્યાકુળતા અને સ્વાર્થી દુર્યોધન 


 II संजय उवाच II श्रुत्वा तु तं महाशब्दं पांडुनां जयगृद्विनाम I चारै प्रवदिते तत्र समुत्यान् जयद्रथ: II १ II

સંજય બોલ્યો-વિજયની લાલસાવાળા એ પાંડવોના મહાન શબ્દ સાંભળીને તથા ગુપ્તચરોએ જણાવેલી અર્જુનની પ્રતિજ્ઞાની વાત જાણીને જયદ્રથનું હૃદય શોકથી મૂઢ થઇ ગયું.દુઃખથી વ્યાપ્ત થઈને તે ઉભો થઇ ગયો ને ઘણો વિચાર કર્યા પછી,તે રાજાઓની સભામાં ગયો અને ત્યાં જઈને તેમની આગળ,અર્જુનના ભયથી બેબાકળો થઈને લજ્જાભેર સર્વને કહેવા લાગ્યો કે-

'પાંડુરાજાની સ્ત્રી કુંતા વિષે કામી થયેલા ઇન્દ્રે,જે દુર્બુધ્ધિ અર્જુનને ઉત્પન્ન કર્યો છે તે મને એકલાને યમરાજને ઘેર મોકલી દેવા ધારે છે,હું તો જીવવાની ઈચ્છાથી મારે ઘેર ચાલ્યો જઈશ અથવા તમે બધા તમારા અસ્ત્રના બળથી મારુ રક્ષણ કરો.

Mar 13, 2026

ભાગવત રહસ્ય-૯૧-Bhgavat Rahasya-91

કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિનાં 
ધર્મપત્ની છે.એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.
કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.
મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. 
પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયામાં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1073

 

અધ્યાય-૭૩-જયદ્રથને મારવાની અર્જુનની પ્રતિજ્ઞા 


 II युधिष्ठिर उवाच II त्वयि याते महाबाहो संशप्तकबलं प्रति I प्रयत्नमकरोत तीव्रमाचार्यो ग्रहणे मम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહો,જયારે તું સંશપ્તકો સામે યુદ્ધ કરવા ગયો ત્યારે આચાર્ય દ્રોણે મને પકડવાનો ઘોર પ્રયત્ન કરતા હતા.તે સેનાનો ચક્રવ્યૂહ બનાવીને આગળ વધતા હતા અને અમે તેને અટકાવી રહ્યા હતા.દ્રોણાચાર્યના અતિ આક્રમણથી કોઈ તેમની સામે જોઈ શકતું નહોતું.ત્યારે મેં અભિમન્યુને ચક્રવ્યુહનું ભેદન કરવાનું કહ્યું ત્યારે તેણે તારા ઉપદેશ ને શિક્ષાની અનુસાર તે વ્યૂહને તોડી તેમાં પ્રવેશ કર્યો હતો.અમે પણ તેના રક્ષણ માટે તેની પાછળ ઘૂસવા જતા હતા ત્યારે,જયદ્રથે આવીને,તેને મળેલા શંકરના વરદાનથી અમને સર્વે રોકી લીધા.

Mar 12, 2026

ભાગવત રહસ્ય-૯૦-Bhgavat Rahasya-90

મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવતમાં વારંવાર આવે છે.
તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી. 
પણ જગત (સૃષ્ટિ) જેણે બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્માનો વારંવાર –બહુ વિચાર કર્યો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1072

 

પ્રતિજ્ઞા પર્વ 

અધ્યાય-૭૨-અર્જુનનો શોક ને કોપ 


 II संजय उवाच II तस्मिन्नहनि निर्वुत्ते घोरे प्राणमृतां क्षये I आदित्येस्तं गते श्रीमान्संध्याकाल उपस्थिते  II १ II

સંજય બોલ્યો-તે દિવસે જયારે ઘોર સંહાર બંધ પડ્યો,સૂર્યનો અસ્ત થયો અને સંધ્યાકાળ થયો ત્યારે સર્વ સૈનિકી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા હતા.અર્જુન,પોતાના દિવ્ય અસ્ત્રો વડે સંશપ્તકોનો સંહાર કરીને છાવણી તરફ પાછો વળી રહ્યો હતો ત્યારે એકાએક તેને આંસુ ભરાઈ આવ્યાં.ને તેણે ગોવિંદને કહ્યું કે-'આજે મારુ હૃદય કેમ ધડકે છે?મને અનિષ્ઠ અપશુકનો થઇ રહ્યાં છે અને મારુ અંગ જાણે થરથરે છે,પૃથ્વી પરના ઉત્પાતો મને ત્રાસ પમાડે છે તે કૈંક અશુભ સૂચવતું લાગે છે.મારા મોટાભાઈ યુધિષ્ઠિર તેમના અમાત્યો  સાથે કુશળ તો હશે ને?'

Mar 11, 2026

ભાગવત રહસ્ય-૮૯-Bhgavat Rahasya-89

દુર્જનનો –સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવનો –વિયોગ-દુઃખ આપે છે.
ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિના આશ્રમ તરફ જવા નીકળ્યા.યમુનાજીએ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,ગંગાજી જ્ઞાન- વૈરાગ્યનું દાન કરે છે.યમુનાજીને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1071

 

અધ્યાય-૭૧-સૃન્જયરાજાના પુત્રને નારદે સજીવન કર્યો 


 II व्यास उवाच II पुण्यमाख्यानमायुष्यं श्रुत्वा षोडशराजकम I अव्याहरन्नरयतिस्तुष्णिमासीत्स सृंजय:II १ II

વ્યાસ બોલ્યા-પૂર્વોક્ત સોળ રાજાઓનું,આયુષ્યની વૃદ્ધિ કરનારું,પવિત્ર આખ્યાન સાંભળ્યા પછી,શાંત થયેલો રાજા સૃન્જય કંઈ બોલ્યા વિના બેસી રહ્યો હતો.ત્યારે તેને તેમ બેઠેલો જોઈને નારદ ઋષિ તેને કહેવા લાગ્યા કે-'હે રાજન,તારી આગળ મેં જે આ સોળ રાજાઓનાં આખ્યાન કહ્યાં તે તેં સાંભળ્યાં કે નહિ?કે મારો યત્ન વ્યર્થ ગયો છે?' ત્યારે તે રાજા બોલી ઉઠ્યો કે-'હે મહર્ષિ,એ આખ્યાનો સાંભળતાં  જ,જેમ સૂર્યના તેજથી અંધકારનો નાશ થાય તેમ,મારો શોક દૂર થયો છે હવે હું પાપ વિનાનો ને શોક-વ્યથા વિનાનો થયો છું, બોલો હવે હું શું કરું?

Mar 10, 2026

ભાગવત રહસ્ય-૮૮-Bhgavat Rahasya-88

આ બાજુ પ્રભુએ દ્વારિકાનો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. 
ઉદ્ધવને ભાગવત-ધર્મના જ્ઞાનનો ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે.
તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા.
ઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1070

 

અધ્યાય-૭૦-પરશુરામનું ચરિત્ર 


   II नारद उवाच II रामो महातपाः शूरो वीरलोकनमस्कृतः I जामदग्न्योप्यतियश अवितृप्तो मरिष्यति II १ II

નારદ બોલ્યા-મહાતપસ્વી,શૂરવીર,વીરલોકોથી નમસ્કાર કરાયેલા અને અતિયશસ્વી જમદગ્નિપુત્ર પરશુરામ પણ આ જગતમાં અતૃપ્ત રહીને જ મરણ પામશે.તેમણે આ સમગ્ર પૃથ્વીને સુખી કરીને પુનઃ સત્યયુગનો ધર્મ પ્રવર્તાવ્યો છે.તેમને અઢળક લક્ષ્મી મળી હતી છતાં તેમના મનમાં જરા પણ વિકાર થયો નહોતો.જયારે કાર્તવીર્યના પુત્ર એવા ક્ષત્રિયોએ પોતાના પિતાનો તથા વત્સનો નાશ કર્યો ત્યારે રણમાં પોતાની પ્રશંસા નહિ કરનારા એ પરશુરામે કાર્તવીર્યનો વધ કર્યો હતો તે સમયે ચઢી આવેલા ચોસઠ કરોડ ક્ષત્રિયોનો એક ધનુષ્યથી જ પરાજય કર્યો હતો.

Mar 9, 2026

ભાગવત રહસ્ય-૮૭-Bhgavat Rahasya-87

દુર્યોધને નોકરોને હુકમ કર્યો કે- આ વિદુરજીને ધક્કા મારી ને બહાર કાઢી મુકો.
વિદુરજી એ વિચાર્યું-કે આ દૂર્યોધનના નોકરો ધક્કા મારે તો તેમને પાપ લાગશે,હું જ સભા છોડી જઈશ. સમજીને ઘરનો ત્યાગ કર્યો છે.વિદુરજી ક્ષત્રિય હતા,હાથમાં ધનુષ્યબાણ ધારણ કરતા હતા. ધનુષ્યબાણ તેમણે ત્યાં જ મૂકી દીધાં છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1069

અધ્યાય-૬૯-પૃથુરાજાનું ચરિત્ર 


  II नारद उवाच II पृथु वैन्यं च राजानं मृतं सृंजय शुश्रुम I यमम्यपिचन साम्राज्ये राजसूये महर्षयः II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,વેનનો પુત્ર પૃથુરાજા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.મહર્ષિઓએ રાજસૂયયજ્ઞમાં તેનો સામ્રાજ્યપદે અભિષેક કર્યો હતો.સર્વનો પરાભવ કરનારા એ પૃથુરાજાએ યત્ન કરીને આખી પૃથ્વીને પ્રસિદ્ધ કરી હતી માટે તેનું નામ 'પૃથુ' પડ્યું હતું.પ્રજાએ તે સમયે ધાર્યું હતું કે-'આ આપણું ભયથી રક્ષણ કરશે' માટે જ એ પૃથુને 'ક્ષત્રિય' એવી સંજ્ઞા પ્રાપ્ત થઇ હતી.પૃથુને જોઈને સર્વ પ્રજા 'અમે આ પૃથુ પર રાજી થયા છીએ'એમ કહેવા લાગી તેથી જ એનું નામ 'રાજા'પડ્યું હતું.તેના રાજ્યકાળમાં પૃથ્વીમાં વગર ખેડ્યે પાક થતો હતો.પૃથ્વી જ તે સર્વની કામના પૂર્ણ કરતી હતી.સર્વ ગાયો પણ ઈચ્છીત વસ્તુઓ આપતી હતી.ત્યારે તદ્દન સુવર્ણના જ દર્ભો ઉગતા હતા ને પ્રજાઓ તે દર્ભનાં જ વસ્ત્રો પહેરતી હતી.


ફળો પણ ત્યારે અમૃત સરખાં સ્વાદિષ્ટ અને મીઠાં થતાં હતાં.આહારમાં તે ફળો જ લેવાતાં હતાં.મનુષ્યો નિરોગી હતા ને સર્વ પ્રયોજનો સિદ્ધ કરનારા હતા.તેઓ સર્વ તરફથી નિર્ભય હતા.જેમને જેમ સુખ પડે તેમ પોતપોતાની ઇચ્છાનુસાર પ્રજા આનંદમાં રહેતી હતી.એ પૃથુરાજા જયારે સમુદ્રમાં પ્રયાણ કરતો ત્યારે પાણી થંભી જતું હતું.પર્વતો પણ તેને માર્ગ આપતા હતા.

એક સમયે તે રાજા સુખથી બેઠો હતો ત્યારે સર્વ વનસ્પતિઓ,પર્વતો,દેવો,અસુરો,મનુષ્યો,સર્પો,સપ્તઋષિઓ,યક્ષો,ગંધર્વો ને અપ્સરાઓ તેને આવીને કહેવા લાગ્યા કે-'તમે અમારા સમ્રાટ છો,ક્ષત્રિય છો,રાજા છો,રક્ષક છો,પિતા છો ને અમારા પ્રભુ છો તમે અમને ઈચ્છીત વર આપો એટલે અમે ચિરકાળની તૃપ્તિને પામીએ અને સુખેથી રહીએ'


ત્યારે 'ભલે' એમ કહીને પૃથુરાજાએ પિનાક નામનું ધનુષ્ય ને અતુલ ઘોર બાણો લઈને જરા વિચાર કરીને તેણે પૃથ્વીને કહ્યું-'હે પૃથ્વી.આવ,ઝટ આવ,આ સર્વ પ્રજાઓને માટે તેમની ઇચ્છામાં આવે તે વસ્તુરૂપ દૂધ દુઝી આપ,તારું કલ્યાણ હો'

પૃથ્વી બોલી-'હે વીર તારે મને દુહિતા તરીકે કલ્પવી યોગ્ય છે' ત્યારે 'બહુ સારું' એમ કહીને તે પૃથુરાજાએ તેને દોહવા માટે સર્વ સામગ્રી તૈયાર કરી.પ્રથમ વનસ્પતિઓ દોહાવાની ઈચ્છાથી આવી ઉભી રહી.પૃથ્વી ગાયના સ્વરૂપે દુઝવા સજ્જ થઇ પણ તે વાછરડાની,દોહનારની તથા દોહવાના પાત્રની ઈચ્છા કરવા લાગી એટલે વનસ્પતિઓએ પુષ્પ ભરેલા શાલ (સાગ)વૃક્ષને વાછરડો બનાવ્યો,પીપળાના વૃક્ષને દોહનાર બનાવ્યો અને ઉંબરાના વૃક્ષરૂપ પાત્રમાં અંકુરો ફુટવારૂપ દૂધ દોહ્યું.


પર્વતોએ ઉદયાચળ પર્વતને વાછરડો બનાવ્યો,મહાગિરિ મેરુને દોહનાર બનાવ્યો અને પથ્થરરૂપ પાત્રમાં રત્નો ને ઔષધિરૂપ દૂધ દોહ્યું.દેવોએ ઇન્દ્રને વાછરડો બનાવ્યો,વિષ્ણુને દોહનાર બનાવ્યા અને મનરૂપ પાત્રમાં બળકર અને પ્રિય એવું અમૃતરૂપ દૂધ દોહ્યું.

અસુરોએ વિરોચનને વાછરડો બનાવ્યો,દ્વિમૂર્ધાને દોહનાર બનાવ્યો અને કાચા પાત્રમાં માયારૂપ દૂધ દોહી લીધું.

મનુષ્યોએ સ્વાયંભુવ મનુને વાછરડો બનાવ્યો,પૃથુરાજાને દોહનાર બનાવ્યો ને પૃથ્વીના તળિયારૂપ પાત્રમાં ખેતી ને ધન્યરૂપ દૂધને દોહી લીધું.સર્પોએ તક્ષકનાગને વાછરડો બનાવ્યો,ધૃતરાષ્ટ્ર નામના નાગને દોહનાર બનાવ્યો અને તુમ્બડારૂપ પાત્રમાં ઝેરરૂપ દૂધ દોહ્યું.સપ્તઋષિઓએ સોમરાજાને વાછરડો બનાવ્યો,બૃહસ્પતિને દોહનાર બનાવ્યો,અને વેદરૂપ પાત્રમાં પરબ્રહ્મરૂપ દૂધ દોહ્યું.


ગંધર્વો ને અપ્સરાઓએ ચિત્રરથને વાછરડો બનાવ્યો,ભગવાન વિશ્વરૂચિને દોહનાર બનાવ્યા,અને કમળરૂપ પાત્રમાં પવિત્ર ગંધરૂપ દૂધ દોહ્યું.પિતરોએ વૈવસ્વતને વાછરડો બનાવ્યો,યમરાજને દોહનાર બનાવ્યો અને રૂપાના પાત્રમાં સ્વધારૂપ દૂધને દોહ્યું.

એ પ્રમાણે સર્વ ભૂતોએ પૃથ્વીમાંથી પોતાની ઇચ્છામાં આવે તે પદાર્થોને દૂધરૂપે દોહી લીધા.આથી હજુ સુધી પણ તેઓ વાછરડા ને તે તે દોહવાના પાત્રોથી નિત્ય તે જ રીતે વર્તી રહ્યા છે.પૃથુરાજાએ અનેક પ્રકારના યજ્ઞો કરીને સર્વ ભૂતોને મનમાન્યા સર્વ કામોથી તૃપ્ત કર્યા હતા.વધુમાં તેણે આખી પૃથ્વીને મણિ અને રત્નોથી વિભૂષિત કરીને તદ્દન સ્વર્ણથી પરિપૂર્ણ કરી હતી અને તે પૃથ્વીને બ્રાહ્મણોને દાનમાં આપી દીધી હતી.હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય ને ઐશ્વર્યમાં તારા અને તારા પુત્ર કરતાં પણ ઘણો જ શ્રેષ્ઠ અને પુણ્યવાન પૃથુરાજા જો મરી ગયો છે તો તારા પુત્રને માટે તું શોક ન કર.(33)

અધ્યાય-69-સમાપ્ત


 

Mar 8, 2026

ભાગવત રહસ્ય-૮૬-Bhgavat Rahasya-86

ભગવાનને ભુખ લાગે ? આના પર મહાત્માઓએ ચર્ચા કરી છે.ઉપનિષદનો સિદ્ધાંત છે-કે-ઈશ્વરને ભુખ લાગતી નથી. 
કહે છે-સંસાર વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે. જીવ અને શિવ .
જીવ રૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે.તેથી તે દુઃખી છે. પરમાત્મા તેને સાક્ષીરૂપે નિહાળે છે. ભગવાન ખાતા નથી.
ઉપનિષદ નો આ સિદ્ધાંત પણ ખોટો નથી ,અને ભાગવતનો સિદ્ધાંત પણ ખોટો નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1068

 

અધ્યાય-૬૮-ભરતરાજાનું ચરિત્ર 


  II नारद उवाच II  दौष्यन्ति भरतं चापि मृतं सृंजय शुश्रुम I कर्माण्यमुकराण्यन्यै: कृतवान यः शिषुर्वने II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,આપણે સાંભળીએ છીએ કે દુષ્યંતનંદન ભરતરાજ પણ મરણ પામી ગયો છે.તેણે બાલ્યાવસ્થામાં પણ વનમાં રહીને બીજાઓથી ન બને તેવા પરાક્રમો કર્યા હતા.તે બળવાન ભરત પોતાની બાલ્યાવસ્થામાં સિંહોને,પોતાના બળથી વીર્યહીન કરીને ઘસડતો હતો ને બાંધતો હતો.વળી,તે ક્રૂર અતિઉગ્ર વાઘોને દમન કરીને પોતાને વશ કરતો હતો.અતિબળવાન હોવાથી તે ક્રૂર સર્પો ને હાથીઓને પણ દાંતમાંથી પકડીને પાછા હટાવી દેતો હતો.વળી,પાડાઓ,બળવાન મૃગો,ગેંડાઓ,ને બીજા જાનવરોને પણ તે પોતાના પ્રાણોને સંકટમાં મૂકીને બાંધતો ને તેમને હેરાન કરી છોડી મુકતો હતો.ભરતનાં એવાં કામો જોઈને બ્રાહ્મણોએ તેનું બીજું નામ 'સર્વદમન' પાડ્યું હતું.ને એજ નામે એને બોલાવતા હતા.એની માતા શકુંતલા તો તેને વારંવાર કહેતી હતી કે-'હે પુત્ર,તું જંગલી પ્રાણીઓને ન મારીશ'

Mar 7, 2026

ભાગવત રહસ્ય-૮૫-Bhgavat Rahasya-85

શ્રીકૃષ્ણ,ધ્રુતરાષ્ટ અને દૂર્યોધનને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવોના દૂત તરીકે આવ્યો છું.પણ દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી.
ભગવાન સમજી ગયા-આ મૂર્ખો છે-તેને માર પડ્યા વગર અક્કલ આવશે નહિ.
ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામથી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે.